મેઘરજ નજીકની સીમલેટી જળાશય યોજનામાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. લાખો રૂપિયા ખર્ચે બનેલા ડેમની કેનાલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને હાલ કેનાલનું અસ્તિત્વ જ ગાયબ થઇ ગયું હોય તેવી સ્થિતિ છે. 5 કિલોમીટરની કેનાલ બનાવાની યોજના હતી. જે માત્ર કાગળ પર બની હોય તેમ કેનાલનું નામનિશાન જોવા મળતું નથી.
કેનાલનું નામોનિશાન ન જોવા મળતા ખેડૂતોમાં રોષ
મેઘરજના ભેમાપુર,ધનિવાડા, અજુના હીરોલા ગામની 265 એકર જમીન સંપાદિત કરી સીમલેટી ગામના તળાવ પર નાની સિંચાઈ યોજના અંતર્ગત એક જળાશય બંધ વર્ષ 1992 માં 16 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો,આ યોજના અમલમાં આવતા આસપાસના 15 થી વધુ ગામોના ખેડૂતો ને સિંચાઇની વ્યાપક પ્રમાણમાં સગવડ મળવાની આશા બંધાઈ હતી.પરંતુ સીમલેટી જળાશય અંતર્ગત રૂપિયા 1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી કેનાલો માત્રને માત્ર કાગળ પરના વાઘ જેવી પુરવાર થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી કેનાલ બનાવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો લોકો સ્થાનિક નેતા અને અધિકારીઓ પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે ખેડૂતોએ કેનાલની તપાસ કરવા સરકારને લેખિતમાં રજૂઆત પણ કરી છે.
1 કરોડના ખર્ચે બનેલી કેનાલ ગાયબ
સીમલેટી જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલી કેનાલનો વ્યાપ વધારવાની વાત તો દૂર રહી પણ ક્યારેય સમારકામ,જાળવણી કે યોગ્ય દરકાર રાખવામાં ન આવતા આ કેંનાલ ભ્રષ્ટાચારની કેનાલ બની રહી છે.સ્થાનિકો પણ આ જળાશય યોજના વહીવટી તંત્ર અને કેટલાક ચોક્કસ રાજકીય નેતાઓની મિલીભગતથી ખેડૂતો માટે અગવડરૂપ બની રહી હોવાના આરોપ લગાવી રહ્યા છે.