ભરતીના આંદોલનો એ કંઈ નવા નવાઈની વાત નથી. એલઆરડી હોય કે બિનસચિવાલય, આ તમામ ભરતી પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ નિમણૂંક માટે આંદોલન કરવા પડે છે ત્યારે ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓના દીકારાઓની સીધી નિમણુંક સરકારી ખાતાઓ અને સંસ્થામાં કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ અંગે ભાજપના મહામંત્રી કેસી પટેલના દીકરાનું ભરતી કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. લાખોના પગારની નોકરી કોઈ પણ લાયકાત વગર મળી ગઈ હોવાની ચર્ચા ઉઠી છે.
કે.સી. પટેલના પુત્રની ગેરકાયદે નિમણૂક મામલો
કોંગ્રેસી ધારાસભ્યએ રાજ્યપાલને લખ્યો
આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી
પ્રજાએ ચુંટેલા પ્રજાના જ સેવક એટલે કે પ્રતિનિધિઓ પોતાના ઘર ભરે છે એવી ચર્ચા એ કંઈ નવી વાત નથી ત્યારે ભાજપના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતું એક કૌભાંડ હાલ ટોક ઓફ ધી ટાઉન છે. ભાજપના મહામંત્રી કે સી પટેલના દીકારાની સીધી જ યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અમદાવાદમાં નિમણૂંક કરવામાં આવતા આ ભરતીને પગલે નેતાઓના દીકરાઓ અને પરિવારજનોની મળતી મલાઈ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
ભાજપના પ્રદેશ મહામંત્રીના દીકરાની ગેરકાયદે નિમણૂક
ભાજપના રાજમાં નેતાઓના દીકરાઓને તો જલસા જલસા છે. એક તરફ રૂપાણી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે ત્યાં જ ગુજરાત ભાજપના મહામંત્રી કે.સી.પટેલના દીકરા નૈતિકની ગુજરાતની દિગ્ગજ હોસ્પિટલ યુ એન મહેતામાં ગેરકાયદેસર નિમણૂંક થયાનો વિવાદ સામે આવ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ VTVGujarati.com સાથે આ મુદ્દે વાત કરતાં સમગ્ર ઘટના ધ્યાને આવી છે.
કોણ છે કેસી પટેલનો દીકરો?
કેસી પટેલનો દીકરો નૈતિક પટેલ પુરુ ભણ્યો પણ નહોતોને તેની નિમણૂંક યુએન મહેતા એડમિનિસ્ટ્રેટિવમાં કરી દેવામાં આવી હતી. કેસી પટેલનો દીકરો નૈતિક પોસ્ટગ્રેજ્યુએટ છે અને કાયદાના અભ્યાસમાં એક જ સેમેસ્ટર ભણેલો હોવા છતાં તેને સરકારી સંસ્થામાં એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં નોકરી આપી દેવામાં આવી છે. આ અંગે કોંગી ધારાસભ્યએ રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના લોકને આ અંગે પત્ર લખીને જાણ કરતા ચકચાર મચી ગઈ હતી. યુ એન મહેતામાં નૈતિક પટેલ સિનિયર કાર્ડિયાક મેડિકલ ક્લિનિકલ કો-ઓર્ડિનેટર -2 (Sr. Cardiac Medical Clinical Co-ordinator II )ની પોસ્ટ ઉપર કામ કરે છે. U N Mehta Institute of Cardiology and Research Center ( unmicrc )માં આ પોસ્ટ તેમને ભણતાં ભણતાં જ મળી ગઈ હતી.
કોંગી ધારાસભ્યે લખ્યો પત્ર
ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે ગેરકાયદેસર રીતે પોતાના દીકરાની નિમણૂક યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં કરાવી દીધી હોવાની ઘટના અંગે તપાસ કરવામાં ન આવતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર પાઠવ્યો છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે,જો આ અંગે કોઇપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આગામી સમયગાળામાં આરોગ્ય સચિવની કચેરી બહાર ભૂખ હડતાળ પર બેસવાની અને હાઈકોર્ટ તથા લોકાયુક્તમાં ફરિયાદ કરાશે. આ સાથે જ આગામી 12 માર્ચથી ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી. રાજ્યપાલની સાથોસાથ મુખ્યમંત્રી, તકેદારી આયોગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પણ પત્રની નકલ મોકલી આપી છે. જેમાં સમગ્ર ઘટનાનું વિવરણ પણ કર્યું છે.