"કોરોનાકાળમાં ન દેખનાર કોર્પોરેટરો હવે વોટ માંગવા ન આવે"
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં સ્થાનિકો કોર્પોરેટરોનો બહિષ્કાર કરી રહ્યાં છે. કૃષ્ણનગર વિસ્તારમાં ઠેર-ઠેર રાતો રાત કોર્પોરેટરોના બહિષ્કારના પોસ્ટરો લાગતા ભારે ચર્ચા જાગી છે. તો આ પોસ્ટરોને સ્થાનિકો સમર્થન પણ આપી રહ્યા છે, કારણે અહીંના કોર્પોરેટરોએ પ્રજાના કામ જ કર્યા નથી. કોરોનાકાળમાં ન દેખનાર કોર્પોરેટરો હવે વોટ માંગવા ન આવે તેવા પોસ્ટરો ઠેર-ઠેર લાગતા રાજકારણ ગરમાયું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે લોકોએ પોતાના વિસ્તારના કોર્પોરેટરોને કોરોના કાળ યાદ અપાવ્યો છે. મહત્વનું છે કે, તમામ રાજ્યોમાં કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડ-લાઈનું પાલન થતું હતું. જેથી થોડા સમય માટે કરિયાણાની દુકાનો પણ સદંતર રીતે બંધ કરી દેવામાં આવી હતી. આવા સમયે લોકો પોતાના વિસ્તારના ધારાસભ્યો અને કોર્પોરેટરો પાસે મદદની આશા રાખીને બેઠા હતા. પરંતુ કોર્પોરેટરો પોતાના ઘરના બંધ બેસીને કોઈપણ કામગીરીમાં અગ્રેસર જોવા મળ્યા નહોતા. આ પ્રકારના આક્ષેપ અમદાવાદના કેટલાક વિસ્તારમાં લોકો કરી રહ્યા છે. જેની સીધી અસર ચૂંટણી પર પણ જોવા મળશે.