રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા મોટા કોર્પોરેટ હાઉસ કે ઉદ્યોગ જૂથોને ખુદ પોતાની માલિકીની બેન્ક ખોલવાની મંજૂરી આપવા પર જે વિચારણા કરવામાં આવી રહી છે, તે અંગે બે પ્રકારનાં અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યાં છે. કેટલાક લોકો આ સંભવિત નિર્ણયને પ્રગિતથી પાછળ લઈ જનારો અને દેશના આર્થિક-નાણાકીય ક્ષેત્રો પર કેટલાક મોટા પૂંજીપતિઓનું નિયંત્રણ લાવનારો ગણાવી રહ્યો છે.
કોર્પોરેટ હાઉસ કે ઉદ્યોગ જૂથોને ખુદ પોતાની માલિકીની બેન્ક ખોલવાની મંજૂરી આપવા મુદ્દે વિચારણા
અલગ-અલગ મંતવ્યો આવ્યા સામે
બેન્કિંગ સિસ્ટમ કોઈ પણ દેશના આર્થિક વિશ્વાસની તિજોરી હોય છે
એ વાતમાં કોઈ બેમત ના હોઈ શકે કે સ્વસ્થ અને પારદર્શક લોકતંત્રમાં નાણાકીય વિકેન્દ્રીકરણ અને રાષ્ટ્રીય આવકના સ્ત્રોતો અને સંપત્તિની સમાન વહેંચણી જ તેની આર્થિક નીતિઓનું ધ્યેય હોય છે, જેનાથી બંધારણ પ્રમાણે પ્રત્યેક નાગરિક પોતાના એ અધિકારનો પ્રયોગ કરી શકે, જે તેને તેના અંગત વિકાસ અને ઉત્થાન કરવા માટે મળેલો છે. બેન્કિંગ સિસ્ટમ કોઈ પણ દેશના આર્થિક વિકાસની ચાવી ગણાય છે. કેમ કે તેના મારફતે જ દેશનો આમ આદમી પોતાની મહેનત અને લગન તથા ઉદ્યમશીલતાથી આર્થિક વિકાસનું માળખું તૈયાર કરે છે.
બેન્કોમાં રાખવામાં આવેલું ધન દેશના સામાન્ય નાગરિકનું જ હોય છે, જેનો ઉપયોગ સફળ રાષ્ટ્રીય વિકાસમાં એ પ્રકારે થાય છે કે નાના વેપારીથી લઈને લઘુ ઉદ્યોગના માલિક અને મોટા ઉદ્યોગપતિ સુધીના તમામ લોકો દેશનાં ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને અર્થવ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરી શકે અને કૃષિ તથા ગ્રામીણ, કુટિર ઉદ્યોગો માટે તાકાત પ્રદાન કરી શકે.
બેન્કિંગ સિસ્ટમ કોઈ પણ દેશના આર્થિક વિશ્વાસની તિજોરી હોય છે
બેન્કોના દરવાજા આ ક્ષેત્રો માટે પણ એ પ્રકારે ખુલ્લા રહે છે કે તેઓ પોતાનું ઉત્પાદન વધારવા માટે નાણાકીય પોષણની જરૂરિયાતોને પૂરી કરી શકે. જો સામાન્ય શબ્દોમાં તેનો અર્થ કાઢીએ તો બેન્કિંગ સિસ્ટમ કોઈ પણ દેશના આર્થિક વિશ્વાસની તિજોરી હોય છે, કેમકે બેન્કોમાં નાણાં જમા કરાવનારા લોકો નિશ્ચિંત રહે છે કે તેમના નાણાં સુરક્ષિત તો છે જ પણ તેમાં સમયે સમયે વૃદ્ધિ પણ થઈ રહી છે.
દેશના મોટા કોર્પોરેટ હાઉસ કે ઉદ્યોગગૃહોને પોતાની બેન્ક ખોલવાની મંજૂરી આપવાથી સૌથી મોટું ભયસ્થાન યસ બેન્ક જેવું આર્થિક સંકટ ઊભું કરવાનું જોખમ છે. ઉદ્યોગગૃહો જ બેન્કોના સૌથી મોટા દેવાદાર હોય છે અને જો તેઓ ખુદની બેન્ક બનાવશે તો પછી લોન આપનારા અને લોન લેનારા વચ્ચેનું અંતર જ સમાપ્ત થઈ જશે અને તે આગળ જતાં બહુ ખતરનાક પરિણામો આપી શકે છે.
ભારતમાં આર્થિક ઉદારીકરણનો કાળ ૧૯૯૧થી શરૂ થયો
કોમર્શિયલ બેન્કોની કાર્ય પ્રણાલી રિઝર્વ બેન્કના નિર્દેશો અનુસાર જ સંચાલિત થાય છે, પરંતુ આ વ્યવસ્થાને કારણે જ ઘણી બેન્કો ડૂબી પણ છે. ભારતમાં આર્થિક ઉદારીકરણનો કાળ ૧૯૯૧થી શરૂ થયો અને ત્યારબાદ રિઝર્વ બેન્ક કાયદામાં અનેક વખત સંશોધન થઈ ચૂક્યા છે, જેના કારણે કોમર્શિયલ બેન્કો પર વ્યાજ સીમા (લિમિટ) પણ સમાપ્ત થઈ ગઈ છે. આ તમામ પગલાં બેન્કિંગ સેક્ટરમાં હરિફાઈને પ્રોત્સાહન આપવાના ઈરાદે ભરવામાં આવ્યા હતા, પરંતુ તેની બેતરફી પરસ્પર વિરોધાભાસી અસર ભારતના મધ્યમવર્ગીય સમાજ પર પડી છે.
૧૯૩૪માં રિઝર્વ બેન્કની સ્થાપના થઇ
કોર્પોરેટ બેન્કોની મંજૂરી મળ્યા બાદ સ્થિતિ એવી પણ થઈ શકે છે કેમકે બેન્કોમાં અપેક્ષાથી વધુ વ્યાજ મળવાની લાલચમાં સામાન્ય નાગરિક જ પોતાના નાણાં કે મૂડી આ બેન્કોમાં જમા કરાવશે, પરંતુ તેનો ઉપયોગ કોર્પોરેટ હાઉસ પોતાનો બિઝનેસ વધારવામાં કઈ રીતે કરશે તેની કોઈ ખાતરી આપી શકાય તેમ નથી. દેશની નવી પેઢીને એ વાતની જાણ હોવી જોઈએ કે, અંગ્રેજોનાં શાસન દરમિયાન વર્ષ ૧૯૩૪માં રિઝર્વ બેન્કની સ્થાપના બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા આર્થિક અધિકારોના સિદ્ધાંતો પર જ કરવામાં આવી હતી. ૨૦૦૮-૦૯ની વૈશ્વિક આર્થિક મંદી દરમિયાન જ્યારે અમેરિકા અને યુરોપીય દેશોની બેન્કો એક બાદ એક ઊઠમણાં કરી રહી હતી ત્યારે ભારતીય બેન્ક મજબૂત બનીને ઊભી રહી હતી. હવે અર્થવ્યવસ્થાના મૂળભૂત માળખામાં આધારગત પરિવર્તનો થઈ ચૂક્યા છે, પણ આપણું લોકતંત્ર એ જ છે, જે આઝાદી બાદ હતું અને તેનું લક્ષ્ય પણ એ જ છે જે આપણા વડવાઓએ નિર્ધારિત કર્યું હતું. આ કારણે રિઝર્વે બેન્કે પણ દેશના આ લક્ષ્યને પ્રાપ્ત કરવાની નીતિ નિર્ધારિત કરવી જ જોઈએ.•