કોરોના વાયરસના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે પણ મહામારીમાં પણ માનવતા મહેંકી ઉઠી છે.
અમદાવાદમાં શરૂ થઈ ટિફિન સેવા
સુરતમાં દર્દીઓના સગા માટે શરૂ કરી સેવા
પંચમહાલના ગોધરામાં સેવાભાવી માણસે શરૂ કરી સેવા
હાલ પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ છે અને લોકો ગંભીર ન હોય ત્યાં સુધી હોસ્પિટલ જવાનું પસંદ નથી કરતા. સામે પક્ષે આખા પરિવાર કોરોનામાં સપડાયા હોય છે ત્યારે હવે આખા ગુજરાતમાં જે લોકોના આખા પરિવાર કોરનાગ્રસ્ત હોય અને હોમ આઈસોલેટ હોય ત્યારે ઘણા માનવતાવાદીઓ કોરોનાગ્રસ્ત લોકોની મદદે આવ્યા છે.
અમદાવાદમાં શરૂ થઈ ટિફિન સેવા
અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ તથા લોકોએ સેવા યજ્ઞો શરૂ કર્યા છે. અમદાવાદના મુન્નાભાઈ કોરોનાના હોમ કોરોન્ટાઈન દર્દીઓને બંન્ને ટાઈમ મફત જમવાનું પહોંચાડી રહ્યા છે. જો કોઈ હોમ કોરોન્ટાઈન દર્દી મુન્નાભાઈનો સંપર્ક કરે તો મુન્નાભાઈ પુરી-શાક, દાળ-ભાત અને મિઠાઈ સહિતનું ટિફિન હોંશે હોંશે દર્દીઓ સુધી પહોંચાડે છે. બોપલ, આંબલી, ઘુમા, થલતેજ, જજીસ બંગલો, બોડકદેવ સહિતના વિસ્તારોમાં મુન્નાભાઈ કોવિડ દર્દીઓને ટિફિન પહોંચાડી માનવ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડી રહ્યા છે.
સુરતમાં દર્દીઓના સગા માટે શરૂ કરી સેવા
સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં એક હજારથી વધારે દર્દીઓ સારવાર હેઠળ છે. સારવાર લેતા દર્દીઓ અને પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે જલારામ ધામ અને અન્નપૂર્ણા અન્નક્ષેત્ર દ્વારા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે સવારે જ્યુસ અને કેળાની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે પરિવારજનો માટે ચા-નાસ્તો, છાશ અને પાણીની વ્યવસ્થા કરાઇ છે.
પંચમહાલના ગોધરામાં સેવાભાવી માણસે શરૂ કરી સેવા
કોરોના મહામારી વચ્ચે ગોધરામાં માનવતા મહેંકી ઉઠી છે. હોમ આઇસોલેટ દર્દીઓને ટિફિન પહોચાડાયા છે. સેવાભાવી વિવેક શાહ દ્વારા ટિફિન સેવા શરૂ કરાઇ છે. ઘરે ઘરે જઇ નિઃશૂલ્ક ટિફિન સેવા અપાય છે. દરરોજ 30થી વધુ દર્દીઓને ટિફિન પહોંચાડાય છે.