દેશની સરકારો શિક્ષિતો યુવાનોને નોકરી આપવામાં કેટલીય નિષ્ફળ નિવડી તેના ભયંકર આંકડાઓ તાજેતરમાં સામે આવ્યા છે.
દેશમાં શિક્ષિત બેરોજગારોનો રાફડો ફાટ્યો
અભણ કરતા ભણેલા ગણેલાની સંખ્યા વધારે
બેરોજગારીને માજા મુકી
દેશની સરકારો શિક્ષિતો યુવાનોને નોકરી આપવામાં કેટલીય નિષ્ફળ નિવડી તેના ભયંકર આંકડાઓ તાજેતરમાં સામે આવ્યા છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે લોકડાઉન પહેલા અને બાદમાં કર્મચારીઓની સંખ્યાઓના આંકડા આપ્યા છે. તે મુજબ કોરોના સંક્રમણની પ્રથમ લહેરને કંટ્રોલમાં કરવાને લઈને લગાવામાં આવેલા લોકડાઉનના કારણે લગભગ 274 લાખ લોકોની નોકરીઓ જતી રહી હતી.
લોકસભામાં આંકડા રજૂ થયાં
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં જણાવ્યું હતું કે, ઉત્પાદન અને નિર્માણ જેવા 9 ક્ષેત્રોમાંથી 25 માર્ચ 2020થી પહેલા 3.07 કરોડ કર્મચારી કામ કરી રહ્યા હતા. 1 જૂલાઈ 2022ના રોજ આ જ 9 ક્ષેત્રોના કર્મચારીઓની સંખ્યા ઘટીને 2.84 કરોડ થઈ ગઈ હતી. એટલે કે, લોકડાઉનમાં 23 લાખ લોકોની પોતાની નોકરી જતી રહી. જેમની નોકરી ગઈ, તેમાંથી 16.3 લાખ પુરુષ અને 6.7 લાખ મહિલા કર્મચારીઓ હતાં.
ભણેલા-ગણેલા અને અભણમાં સૌથી વધારે બેરોજગાર કોણ
ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરીએ ભણેલા ગણેલા યુવાનોમાં બેરોજગારી દર સાથે જોડાયેલા આંકડા માગ્યા હતા. તેના પર શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જવાબ આપ્યો હતો.
તેમણે પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના ત્રણ વર્ષના આંકડા આપ્યા છે. તે મુજબ ભણેલા ગણેલા યુવાનોમાં અભણ યુવાનોની સરખામણીમાં બેરોજગારી દર વધારે છે.
આ આંકડા મુજબ ગ્રેજ્યુએશન કરી ચુકેલા યુવાનોમાં બેરોજગારી દર સૌથી વધારે છે. 2019-20ના સર્વે મુજબ ગ્રેજ્યુએટ યુવાનોમાં બહેરોજગારી દર 17.2 ટકા છે, જ્યારે અભણ યુવાનોમાં બેરોજગારી દર 0.6 ટકા છે.
અભણ યુવાની સરખામણીએ ભણેલા યુવાનોમાં સૌથી વધારે બેરોજગારી પાછળ જાણકારોનું માનવું છે કે, અભણ અથવા ઓછુ ભણેલા લોકો પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરી લેતા હોય છે. જ્યારે ભણેલા ગણેલા લોકો પોતાની યોગ્યતા અનુસાર કામ શોધતા રહે છે. જેના કારણે તેમાં બેરોજગારી દર વધારે છે.
બેરોજગારી પર કોરોનાની કેટલી અસર
કોરોના સંક્રમણે ભારતમાં બેરોજગારી દર વધાર્યો છે. પીએલએફએસના સર્વેમાં જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર 2019ના ત્રિમાસિકમાં ભારતમાં બેરોજગારી દર 7.9 ટકા હતો, આ એ સમય હતો, જ્યારે કોરોના આવ્યો નહોતો. પણ આગામી ત્રિમાસિકમાં કોરોના સંક્રમણ આવી ચુક્યું હતું. તેથી જાન્યુઆરીથી માર્ચ 2020ની વચ્ચે બેરોજગારી દર વધીને 9.1 ટકાને પાર પહોંચી ગયો.
કોરોનાની પ્રથમ લહેરની અસર
કોરોનાને કાબૂમાં કરવા માટે પહેલી લહેરમાં એપ્રિલથી જૂનની વચ્ચે કડક લોકડાઉન લગાવામા આવ્યું હતું. આર્થિક ગતિવિધિઓ બંધ થઈ ગઈ હતી. આ જ કારણે બેરોજગારી દર વધીને લગભગ 21 ટકાને પાર આવી ગયો હતો. જો કે, હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તો બેરોજગારી દરમાં થોડી કમી આવી છે. જૂલાઈથી સપ્ટેમ્બર 2020ની વચ્ચે બેરોજગારી દર 13.3 ટકા અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ની વચ્ચે ઘટીને 10.3 ટકા રહ્યો.
બીજી લહેરની અસર
પણ જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો, તેણે બેરોજગારી દર ફરી વધાર્યો. એપ્રિલથી જૂન 2021 ત્રિમાસિકમાં બેરોજગારી દર 12.7 ટકા રહ્યો. જ્યારે આ અગાઉ જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં આ દર 9.4 ટકા હતો. પણ બીજી લહેર બાદ સ્થિતિ જેવી કાબૂમાં આવી તો, બેરોજગારી દર ફરીથી 9.8 ટકા પર આવી ગયો.
મહિલાઓમાં બેરોજગારી વધી
સર્વેમાં એક મોટી વાત સામે આવી છે. જેમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની બેરોજગારી વધારે છે. ગત 7 ત્રિમાસિક આંકડા જોઈએ તો, ખબર પડશે કે, મહિલાઓમાં બેરોજગારી દર પુરુષોથી વધારે રહ્યો. સૌથી તાજા આંકડા જૂલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિકના છે. આ ત્રિમાસિકમાં પુરુષોમાં બેરોજગારી દર 9.3 ટકા હતો, તો વળી મહિલાઓમાં આ આંકડો 11.6 ટકા રહ્યો હતો.