વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઇ કાલે આગામી રર માર્ચ ને રવિવારે જનતા કરફયુની હાકલ દેશવાસીઓને કરાઇ હતી. આ જનતા કરફયુના એલાનના પગલે રાજ્ય સરકાર દ્વારા આજે તમામ એસટી બસ, અમદાવાદ-વડોદરા, રાજકોટ-સુરત સહિતનાં શહેરોની સિટી બસ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગેની જાહેરાત કરી હતી.
MTS બસ સર્વિસમાં ૭૦ થી ૭પ બસ ઓછી મુકાશે
BRTS બસ સર્વિસમાં બસની સંખ્યા હજુ યથાવત્ રહેશે
અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરાેના વાઇરસથી દેશમાં પણ હાહાકાર મચ્યો છે. હજુ આ વાઇરસ દેશમાં બીજા તબક્કામાં છે, જેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે રવિવારના સવારના ૭-૦૦થી રાતના ૯-૦૦ વાગ્યા સુધી દેશવાસીઓને જનતા કરફયુ લાદવાની અપીલ કરી હતી.
દરમિયાન જનતા કરફયુના રવિવારના દિવસે અમદાવાદના ઇતિહાસમાં પહેલી વાર સિટી બસ સર્વિસનાં પૈડાં થંભી જશે એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા બંધ રહેશે. સામાન્ય રીતે તોફાનોના દિવસોમાં પણ સિટી બસ સર્વિસ ચાલુ રાખવાના તંત્રના પ્રયાસો હોય છે.
આગામી તા.રર માર્ચ ને રવિવારે દેશભરમાં જનતા કરફયુ પળાશે. રવિવારના સવારના ૭-૦૦થી રાતના ૯-૦૦ વાગ્યા સુધી દેશવાસીઓ પોતપોતાના ઘરમાં રહી કોરોના વાઇરસનો સંકલ્પ અને સંયમથી સામનો કરશે. ગુજરાતમાં પણ લોકો દ્વારા જનતા કરફયુને ઉમળકાભેર વધાવી લેવાયો છે.
અમદાવાદમાં જનતા કરફયુના વિચાર સાથે મોટા ભાગના અમદાવાદીઓ સંમત હોઇ શહેરની અવરજવર પૂર્ણરૂપે પ્રભાવિત થશે. આમ પણ કોરોનાની દહેશતથી શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સવાર અને સાંજના પિકઅવર્સમાં પણ મુખ્ય રસ્તા પર ટ્રાફિક જોવા મળતો નથી. આના બદલે ટુ વ્હિલર ચાલક કે ફોર વ્હિલર ચાલક પોતાની ઓફિસ કે કામધંધાના સ્થળે કે ત્યાંથી ઘરે સરળતાથી પહોંચી રહ્યા છે.
એએમટીએસ અને બીઆરટીએસમાં પણ પેસેન્જર ઘટ્યા છે. આવા સંજોગોમાં જનતા કરફયુના દિવસે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ રખાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે તમામ એસટી અને રાજ્યનાં શહેરોની સિટી બસ સર્વિસને બંધ રાખવાની જાહેરાત પણ કરી છે.
એએમટીએસ બસ સર્વિસમાં ૭૦,૦૦૦ જેટલા પેસેન્જર ઘટ્યા હોઇ સત્તાવાળાઓ આવતી કાલથી ૭૦ થી ૭પ બસ ઓછી રોડ પર મૂકશે, તેમાં પણ એએમટીએસ બસમાં તેની બેઠક ક્ષમતા જેટલા જ પેસેન્જર લેવાશે. એએમટીએસની ફલાઇંગ સ્ક્વોડના અભિપ્રાયના આધારે જે તે રૂટની બસની સંખ્યામાં વધઘટ કરાશે.
એએમટીએસ બસ સર્વિસના રોજના ૭૦,૦૦૦ પેસેન્જર ઘટવાથી આવકમાં રૂ.ત્રણથી સાડા ત્રણ લાખનો ફટકો પડ્યો છે. જ્યારે બીઆરટીએસના પેસેન્જરમાં પણ રોજના ૩૦,૦૦૦થી વધુ પેસેન્જર ઘટ્યા હોવા છતાં બીઆરટીએસ બસ સર્વિસમાં રાબેતા મુજબ રોજની રપ૧ બસ દોડાવાશે.