વિશ્વના લગભગ ૭૦ દેશ હાલ જીવલેણ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશોને આ ઘાતક વાઈરસનો ખતરો વધારે છે. આ હકીકત જોતાં હવે વર્લ્ડ બેન્ક કોરોના વાઈરસ સામેની લડાઈમાં આગળ આવી છે.
ઘાતક કોરોના વાઈરસ ૭૦ દેશમાં ફેલાયો
૩,૧૭૩નાં મોત, ૯૨ હજારથી વધુને ચેપ
ભારતમાં વધતા કેસથી સરકાર ચિંતિત
આરોગ્ય મંત્રાલયે ઈમર્જન્સી રિવ્યૂ બેઠક બોલાવી
વર્લ્ડ બેન્કે જરૂરિયાતમંદ દેશો માટે ૧૨ અબજ ડોલર (અંદાજે ૮૭૫ અબજ રૂપિયા)નું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. વર્લ્ડ બેન્કના વડા ડેવિડ માલપાસે કહ્યું કે, આ પહેલ ગરીબ દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી તેઓ આ ખતરનાક બીમારીનો સામનો ઝડપથી કરી શકે.
ડેવિડ માલપાસે વધુમાં કહ્યું કે, આપણે એ સમજવું પડશે કે વિકસિત દેશોની સરખામણીએ ગરીબ દેશો પર કોરોના વાઈરસનો ખતરો અનેકગણો વધારે છે. આ દેશોમાં કોરોના વાઈરસનો સામનો કરવા માટે જરૂરી આધુનિક ઉપકરણો નથી. તેમણે કહ્યું કે, આ ફંડ (આર્થિક પેકેજ)નો અમુક હિસ્સો ગરીબ દેશોને આપવામાં આવશે. બીજી તરફ, ફંડનો ઉપયોગ તબીબી ઉપકરણોની ખરીદી અને આરોગ્ય સુવિધાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે પણ કરવામાં આવશે. વર્લ્ડ બેન્કે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, આ પહેલ અંતર્ગત જરૂરિયાતવાળા દેશોને નીતિગત સૂચનો પણ કરવામાં આવશે.
વર્લ્ડ બેન્કના વડાએ કહ્યું હતું કે, ૧૨ અબજ ડોલરના આ પેકેજમાંથી આઠ અબજ ડોલર એવા દેશોને મોકલવામાં આવશે. જેમણે કોરોના વાઈરસ સામે લડવા માટે મદદની અપીલ કરી છે. વર્લ્ડ બેન્ક સમક્ષ વિશ્વના ઘણા દેશો દ્વારા મદદ માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે, તેમાંથી સૌથી પહેલા ક્યા દેશને મદદ મળશે.
ચીનના હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં દુનિયાના ૭૦ દેશમાં ૩,૧૭૩થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ ૯૨,૫૩૩ લોકો આ ઘાતક વાઈરસથી ચેપગ્રસ્ત છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ચીનમાં કોરોના વાઈરસના સૌથી વધુ ૮૦,૧૫૦ કેસ નોંધાયા છે.
અહીં અત્યાર સુધીમાં ૨,૯૪૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. દક્ષિણ કોરિયામાં ૩૭૪ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે, અહીં કોરોના વાઈરસથી પીડિત લોકોની સંખ્યા વધીને ૫,૧૮૬ થઈ ગઈ છે, જ્યારે ૨૯ લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકામાં કોરોનાના ૧૦૦ કેસ નોંધાયા છે, જ્યારે છ લોકોનાં મોત નીપજ્યાં છે.
દરમિયાન, ભારતમાં પણ કોરોના વાઈરસે પગપેસારો કરી દીધો છે, કોરોનાથી સંક્રમિત લોકોના ત્રણ કેસ કેરળમાં, જ્યારે નોઈડા, તેલંગાણા અને આગ્રામાં એક એક કેસ સામે આવ્યા છે. કોરોનાનો ખતરો ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને તાત્કાલિક પગલાં ભરવા આદેશ કર્યો છે.
કોરોનાના વધતા ખતરાને ગંભીરતાથી લેતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે એક ઈમર્જન્સી રિવ્યૂ મિટિંગ બોલાવી છે. આ બેઠક આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આરોગ્ય મંત્રાલયની આ ઈમર્જન્સી બેઠકમાં રામમનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલ, લેડી હાર્ડિંગ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ સહિત દિલ્હી નગર નિગમની હોસ્પિટલના અધિક્ષક, રેલવે હોસ્પિટલના અધિક્ષક અને તમામ આરોગ્ય સેવાઓના ડીજી પણ હાજર રહેશે. દિલ્હી-એનસીઆરમાં કોરોના વાઈરસના દર્દીઓ સામે આવ્યા બાદ આરોગ્ય સેવાને એલર્ટ પર રાખવામાં આવી છે.