ચીનમાં જીવલેણ કોરોના વાઈરસ (Coronavirus) થી થયેલા મૃત્યુનો આંકડો હવે 1100ને વટાવી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 44 હજારથી પણ વધુ કેસની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે. ગઈકાલે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની જીનીવામાં એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકનો હેતુ કોરોનાના તમામ કેસોની તપાસ ઝડપી બનાવવાનો હતો.
ચીનમાં કોરોના વાઈરસથી થયેલા મૃત્યુનો આંકડો હવે 1100ને વટાવી ગયો
અત્યાર સુધીમાં કુલ 44 હજારથી પણ વધુ કેસની સત્તાવાર રીતે પુષ્ટિ કરાઇ
આ સાથે જ દવાઓ અને રસી પૂરી પાડવી અને કોરોનાના ચેપને રોકવાના પગલાં પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઘાતક કોરોના વાઈરસ હાલ ચીન સહિત 20 દેશોમાં ફેલાઈ ગયો છે.
ચીનના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે જણાવ્યું હતું કે, આ વાઈરસના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,110 પર પહોંચી ગઈ છે અને ચીનમાં અત્યાર સુધીમાં લગભગ 44 હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, અન્ય દેશોમાં કોરોના વાઈરસના 390 કેસની પુષ્ટિ કરવામાં આવી છે.
ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જારી કરેલા અહેવાલ અનુસાર, 31 પ્રાંતીય સ્તરનાં ક્ષેત્રો અને શિજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સે સોમવારે કોરોના વાઈરસના ચેપના કન્ફર્મ 2478 નવા કેસ અને 108 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જે એક જ દિવસમાં કોરોનાને કારણે થયેલાં મૃત્યુનો સૌથી મોટો આંકડો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોની એક ટીમ બ્રુસ એલવર્ડ (હેલ્થ ઈમર્જન્સીના નિષ્ણાત)ની આગેવાનીમાં સોમવારે રાતે ચીનની રાજધાની બીજિંગ પહોંચી ગઈ છે. ડબ્લ્યુએચઓના મહાનિદેશક ટ્રેડોસ એડરેનોમ ગેબરેયેસસે કહ્યું કે, ડબ્લ્યુએચઓનાં કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ચીન પહોંચી ગયા છે અને તેઓ કોરોના વાઈરસ (એનસીપી) સામે લડવામાં ચીનનો સાથ આપશે. આ ટીમમાં 10થી 15 નિષ્ણાત સામેલ છે.
દરમિયાન, જાપાનના યોકોહામાના કિનારે ઊભેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં કોરોનાના 39 નવા કેસની પુષ્ટિ થઈ છે. જાપાનના આરોગ્ય પ્રધાન કતસુનોબુ કાટોએ આ માહિતી આપી હતી. આ ક્રુઝ પર દર્દીઓની સંખ્યા વધીને 174 થઈ છે. 53માંથી 39 કેસની રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ થઈ છે. તેમાંથી 4ની હાલત અતિ ગંભીર છે. ક્રૂઝ પર તહેનાત કેટલાક અધિકારીઓને પણ ચેપ લાગ્યો હોવાની વાત સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સવાર સુધીમાં ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,110 થઈ ગઈ છે. જ્યારે 44,200 લોકો આ વાઈરસથી સંક્રમિત હોવાની સરકારે માહિતી આપી છે.
ખતરનાક બની ગયેલા કોરોના વાઈરસના ફેલાવાની ચિંતા વ્યક્ત કરીને દક્ષિણ કોરિયા અને ઇઝરાયેલે તેમના નાગરિકોને સિંગાપોર ન જવાની સલાહ આપી છે, જ્યાં આ ઘાતક વાઈરસના પ્રથમ કેસની પુષ્ટિ 10 ફેબ્રુઆરીએ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધીમાં સિંગાપોરમાં કુલ 45 કેસ સામે આવ્યા છે. આથી દક્ષિણ કોરિયા અને ઈઝરાયલે ચેતવણી જારી કરી છે.
WHOએ કોરોના વાયરસને આપ્યું નવું નામ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને મંગળવારે કહ્યું કે, ઘાતક કોરોના વાયરસનું સત્તાવાર નામ 'કોવિડ-19' (Kovid 19) હશે. આ વાયરસ (વિષાણુ)ની ઓળખ પહેલીવાર 31 ડિસેમ્બર 2019માં ચીનમાં થઇ હતી. ડબલ્યૂએચઓના પ્રમુખ તેદરોસ અદહાનોમ ગેબ્રેયસેસએ જિનેવામાં પત્રકારોને કહ્યું કે, હવે અમારી પાસે આ બીમારી માટે નામ છે અને આ 'કોવિડ-19' છે. તેઓએ નામની વ્યાખ્યા કરતા કહ્યું કે 'કો' નો અર્થ 'કોરોના', 'વિ' નો અર્થ છે 'વાયરસ' અને 'ડી' નો અર્થ 'ડિસીઝ' છે.