ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે એક અહેવાલ મુજબ તબલીગી જમાતના કિસ્સાઓ સામે આવ્યાં બાદ રાજ્યમાં પોઝિટિવ કેસોમાં સતત વધારો સામે આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વડોદરામાં પણ દિલ્હીની જેમ જમાત મળી હોવાને લઇને પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
દિલ્લીની જેમ વડોદરામાં પણ મળી હતી જમાત
વડોદરામાં પણ તબલિગી મરકઝ મળ્યાનો ખુલાસો
વડોદરામાં 14થી 20 માર્ચ સુધી મરકઝ મળી હતી
રાજ્યભરમાં જ્યાં એક તરફ કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યના વડોદરામાં કોરોનાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરા ખાતે દિલ્હીની જેમ જમાત મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વડોદરામાં પણ તબલિગી મરકઝ મળ્યા હોવાનો ખુલાસો થયો છે.
વડોદરા શહેરમાં 14 થી 20 માર્ચ સુધી મરકઝ મળી હતી. શહેરના નાગરવાડા અને સૈયદપુરામાં જમાત મળી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે. આ મરકઝમાં મુંબઇ જોગેશ્વરી, આંધ્ર પ્રદેશ અને ભાવનગરની જમાત આવી હતી.
વડોદરા શહેરમાં મળેલી મરકઝમાં આ 3 જમાતમાં 22 લોકો આવ્યાં હતા. જેમાંથી આંધ્ર પ્રદેશની જમાતના 7 લોકો પણ હજી આજે શહેરમાં છે. જ્યારે વડોદરા શહેરની 6 જમાત શહેરની બહાર ગઇ હતી. 6 જમાતના 77 લોકો મરકઝ માટે બહાર ગયા હતા. જેને લઇને પોલીસ 77 લોકોની તપાસ કરી રહી છે.
દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે દિલ્લીના હજરત નિઝામુદ્દીન મરકજમાં મુસ્લિમો મળ્યા હતા. 1થી 15 માર્ચ સુધી તબલીગી એ જમાતની બેઠકમાં મુસ્લિમોએ ભાગ લીધો હતો. જેમાં દેશના અલગ અલગ રાજ્ય અને વિદેશમાંથી મળીને કુલ 1830 લોકોએ ભાગ લીધો હતો.
દિલ્લીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. .એકથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતા સરકારના આદેશનું ઉલ્લંઘન કરી લોકો એકઠા થયાં હતા. જેથી સરકારે લાલ આંખ કરી હતી, સરકારના આદેશના ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધાઇ હતી.