કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં કોરોના રસીકરણનો આગામી તબક્કો 21 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત જૂને જાહેરાત કરી હતી કે રાજ્યોએ વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી વેક્સિનની ખરીદી કરવાની જરૂર નથી. કેન્દ્ર 75 ટકા વેક્સિનની ખરીદી કરશે અને દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફ્રીમાં વિતરણ કરશે.
પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી ચાલ્યો
ભારતમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી ચાલ્યો હતો. આ દરમ્યાન કેન્દ્ર સરકારે રસીકરણ કંપનીઓ પાસેથી વેક્સિનની 100 ટકા ખરીદી કરી હતી અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મફતમાં રસી વિતરણ કરી હતી. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કસ અને 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
વેક્સિનનું સંચાલન કરવામાં પડી મુશ્કેલી
વેક્સિનની ખરીદીની નીતિમાં ફેરફાર સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, ઘણાં રાજ્યોએ હવે કહ્યું છે કે તેમણે નાણાં એકત્રિત કરવા, વેક્સિનની ખરીદી અને તેના સંચાલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમની ગતિ પર પણ અસર પડી છે. એવુ પણ ધ્યાને આવ્યું છે કે નાની અને ખાનગી હોસ્પિટલોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.
હવે રાજ્ય શું કરશે?
કેન્દ્ર દ્વારા આપવામાં આવેલો વેક્સિનનો ડોઝ હવે રાજ્ય 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મફતમાં આપશે. જોકે, આ દરમ્યાન સ્વાસ્થ્ય કાર્યકર્તા, અગ્રિમ હરોળના કાર્યકર્તા, 45 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો અને જે નાગરિકોને બીજો ડોઝ બાકી છે. ત્યારબાદ 18 અને તેનાથી વધુની ઉંમરના નાગરિકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
કોવિન પર રજીસ્ટ્રેશન ફરજીયાત નથી
21 જૂનથી શરૂ થઈ રહેલા રસીકરણના આગામી તબક્કામાં Cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરવુ જરૂરી નથી. દરેક સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર આ સુવિધા લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે