આરોગ્ય મંત્રાલયે ભારતમાં વેક્સિનની ઉપલબ્ધતા અંગે પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ વેક્સિન સંગ્રહ માટે માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસની જરૂર પડશે. જે ભારત જેવા દેશ માટે મુશ્કેલભર્યું બની રહેશે તેમ લાગે છે.
કોરોના વેક્સિન લઇને ભારત જેવા દેશો સામે પડકાર
વેક્સિન સંગ્રહ માટે માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસની જરૂર
સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ સરકાર પાસેથી 80 હજાર કરોડની માગણી
કોરોના વેક્સિનને લઇને અત્યારથી જ અનેક પડકારો દેખાઇ રહ્યા છે. તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોરોના વેક્સિન લોકોને વિનામૂલ્યે આપવાનો વાયદો કર્યો હતો. એટલું જ નહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇચ્છે છે કે દેશમાં તમામ લોકોને કોવિડ-૧૯ની વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવે.
કોરોના વેક્સિન તૈયાર કરવા માટે જરૂરી પરીક્ષણ ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકયું
કોરોના વેક્સિન તૈયાર કરવા માટે જરૂરી પરીક્ષણ ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકયું છે. ત્રીજો તબક્કો એટલે માનવી પર તેની ટ્રાયલ. જોકે વેક્સિન વિકસિત કરનારી ખાનગી કંપનીઓને સરકાર તરફથી ગ્રાન્ટ મળી રહી છે, પરંતુ જુદા જુદા દવા નિર્માતાઓની વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ ત્રણથી ત્રીસ ડોલર વચ્ચે રહેવાની સંભાવના છે. રૂપિયામાં જો ગણતરી કરીએ તો પ્રતિ ડોઝ કિંમત રૂ.ર૦૦થી ર,૦૦૦ વચ્ચે થાય છે.
સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ સરકાર પાસેથી રૂ.૮૦,૦૦૦ કરોડની માગણી
હવે આ કિંમતની ગણતરી કરીએ તો ભારતમાં કુલ વસ્તી ૧.૩૦ અબજની છે. ૧.૩૦ અબજની વસ્તી માટે માત્ર વેક્સિનની કિંમત વહન કરવા માટે ૩.૯ અબજ ડોલર એટલે કે રૂ.૩૦,૦૦૦ કરોડ ખર્ચવા પડશે. આ ઉપરાંત વેક્સિનનું વિતરણ કરવા, પરિવહન અને સાચવણી તેમજ લોકોને વેક્સિન આપવાના જે રૂપિયા થશે તે અલગ. દવાઓની દૃષ્ટિએ જોઇએ તો આ ખર્ચ પણ ૧૦થી ૧૪ ટકા જેટલો આવશે. રસીકરણના સંદર્ભમાં આ ખર્ચ વધી જાય છે. કારણ કે વેક્સિનને રેફ્રિજરેટેડ કન્ટેનરમાં રાખીને લઇ જવી પડશે. આમ આ કારણસર સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ સરકાર પાસેથી રૂ.૮૦,૦૦૦ કરોડની માગણી કરી છે.
કેન્દ્ર સરકારે રૂ.૬૧,૩૯૮ કરોડ ફાળવ્યા
બજેટ પર નજર કરીએ તો ર૦૧૯-ર૦ર૦ના નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારે રૂ.૬૧,૩૯૮ કરોડ ફાળવ્યા છે. આમ હવે વેધક પ્રશ્ન એ છે કે વેક્સિનના ખાલી ડોઝની કિંમત ગણતરીમાં લઇએ તો પણ તે ખરીદવા માટે રૂ.૩૦,૦૦૦ કરોડની જરૂર પડશે અને આટલા જંગી નાણાં કયાંથી આવશે અને મોદી સરકાર પોતાના દાવા મુજબ કઇ રીતે વિનામૂલ્યે વેક્સિન આપી શકશે? અમેરિકન દવા કંપની ફાઇઝરની કોરોના વેક્સિન હવે લગભગ તૈયાર થઇ ગઇ છે અને ફાઇઝરે એવો દાવો કર્યો છે કે તેમની આ વેક્સિન કોરોના વાઇરસને રોકવામાં ૯૦ ટકા સફળ રહેશે. આ ખરેખર સારા સમાચાર છે, પરંતુ વેક્સિનના સંગ્રહ, વિતરણ અને રસીકરણને લઇને ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ અથવા અલ્પવિકસિત દેશો માટે અનેક પડકારો છે. વિશ્વ આરોગ્ય સંઘના પ્રાદેશિક કાર્યાલયે જણાવ્યું છે કે ફાઇઝર દ્વારા વિકસિત વેકસિનને માઇનસ ૭૦ ડિગ્રી તાપમાન પર સ્ટોર કરવું પડશે જે ભારત જેવા અલ્પવિકસિત દેશ માટે મોટો પડકાર સાબિત થશે.
ભારતમાં કોરોનાનો કહેર હજુ સતત ચાલુ
ભારતમાં કોરોનાનો કહેર હજુ સતત ચાલુ છે. આ બધાની વચ્ચે વેક્સિન સંગ્રહ એ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વેક્સિન વિતરણ અંગે વ્યૂહરચના બનાવવાની જરૂર છે. પરંતુ એક એવું કારણ સામે આવ્યું છે જેના કારણે ભારતમાં વેક્સિન સંગ્રહ એક મોટો પડકાર સાબિત થશે. અમેરિકા સ્થિત ફાર્મા કંપની ફાઇઝરે જાહેરાત કરી હતી કે તેમની રસી ટ્રાલયમાં ૯૦ ટકા કરતાં પણ વધુ અસરકારક પુરવાર થઇ છે. દરમિયાન ભવિષ્યમાં આરોગ્ય મંત્રાલયે ભારતમાં વેક્સિનની ઉપલબ્ધતા અંગે પ્રયાસો શરૂ કર્યા, પરંતુ વેક્સિન સંગ્રહ પરનો પેચ ફસાઇ ગયો હોય તેમ લાગે છે. વેક્સિનના સંગ્રહ માટે માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસની જરૂર પડશે.
દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાનું નિવેદન
દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે વેક્સિન સંગ્રહવા માટે જરૂરી લઘુત્તમ તાપમાન માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસ છે તે ભારત માટે એક મોટો પડકાર છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આવી ઠંડી સુવિધાઓ જાળવવી ખૂબ મુશ્કેલ હોય છે. જો કે અહેવાલો અનુસાર કોલ્ડ ચેઇનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ભારત સરકારે અત્યારથી જ દુરોગામી પ્લાનિંગ કરીને વેક્સિનના સ્ટોરેજ અને વિતરણ માટે સઘન વ્યવસ્થા ગોઠવવી પડશે.