કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના ૭૫થી ૮૦ ટકા લોકોમાં એન્ટિબોડી બનવી જરૂરી છે, વેક્સિનેશન દ્વારા આ ટાર્ગેટ ટૂંક સમયમાં હાંસલ થશે
કોઈ પણ દેશને મહામારીથી બચાવવા 70થી 80 ટકા વસ્તીને વેક્સિન આપવી પડે
કયા દેશમાં કેટલી વેક્સિન આપવામાં આવી રહી છે?
દુનિયાભરની આશા ફક્ત વેક્સિન પર જ ટકેલી
જીવલેણ કોરોના વાઈરસ સામેની કપરી લડાઈમાં દુનિયાભરની આશા ફક્ત વેક્સિન પર જ ટકેલી છે. ટોચના વૈજ્ઞાનિકો પણ માને છે કે, કોઈ પણ દેશની ૭૫થી ૮૦ ટકા વસ્તીને વેક્સિન આપ્યા વગર કોરોના મહામારીને હરાવવી અશક્ય છે અને આથી જ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો હાલ વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા પાછળ લાગેલા છે.
દરરોજે 29 લાખ ડોઝ આપવામાં આવે છે
એક અંદાજ પ્રમાણે, ભારતમાં કોરોના વેક્સિનના દરરોજ સરેરાશ લગભગ ૨૯ લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૨૪ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. ઝડપથી હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે માસ વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે, જો વેક્સિનેશનની આવી જ ગતિ રહેશે તો પણ દેશમાં હર્ડ ઈમ્યુનિટી આવતાં હજુ દોઢ વર્ષ લાગી જશે. બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેકરના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, ૧૦ જૂન સુધીમાં દુનિયાના ૧૭૮ દેશમાં ૨૧૯ કરોડ ડોઝ આપી દેવાયા હતા. હાલ દુનિયામાં રોજ અંદાજે ૩.૫૪ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
ચીન પ્રતિદિન ૧.૮૯ કરોડ લોકોને વેક્સિન આપીને ટોચ પર
જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે એવું ચીન પ્રતિદિન ૧.૮૯ કરોડ લોકોને વેક્સિન આપીને ટોચ પર છે. વેક્સિનેશનની સાત દિવસની ડેઈલી એવરેજનો આ એક અનોખો રેકોર્ડ પણ છે. ચીન પોતાના નાગરિકોને અત્યાર સુધીમાં ૮૦ કરોડથી વધુ ડોઝ લગાવી ચૂક્યું છે. ચીનના આ આંકડાઓ પર દુનિયામાં કોઈ વિશ્વાસ કરતું નથી એ વાત જોકે અલગ છે. ચીન કોરોના પોઝિટિવ કેસનો અસલી ડેટા ક્યારેય શેર કરતું નથી. આ બાબતમાં ભારત બીજા ક્રમે છે. ભારતમાં વેક્સિનેશનની સાત દિવસની ડેઈલી એવરેજ પ્રમાણે રોજ લગભગ ૨૯.૨૬ લાખ લોકોને વેક્સિન અપાય છે.
દેશમાં ડિસેમ્બર સુધીમાં ૨૧૬ કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થશે: સરકારનો દાવો
વેક્સિનેશન અભિયાનમાં જૂન મહિનામાં જોરદાર ઝડપ જોવા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે પણ દેશની ફક્ત ૧૫ ટકા વસતિને જ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ વિદેશી વેક્સિન માટે ભારતમાં ટ્રાયલની શરત દૂર કરી દીધી છે. આ નિર્ણયથી વેક્સિનેશનની ઝડપ હજુ પણ વધે તેવી આશા છે. બીજી તરફ સરકારનો દાવો છે કે, દેશમાં ડિસેમ્બર સુધીમાં ૨૧૬ કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થશે. આ દરમિયાન દેશના લોકોની પાસે આઠ રસીનો વિકલ્પ હશે. અત્યારે માત્ર કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશિયાની સ્પુતનિક-વી વેક્સિન જ દેશમાં ઉપલબ્ધ છે.
હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના 75થી 80ટકા લોકોમાં એન્ટિબોડી બનવી જરૂરી
દેશના ટોચના વૈજ્ઞાનિકો માને છે કે, કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના 75થી 80ટકા લોકોમાં એન્ટિબોડી બનવી જરૂરી છે. વેક્સિનેશન દ્વારા આ ટાર્ગેટ ટૂંક સમયમાં હાંસલ થશે તેવું પણ વૈજ્ઞાનિકો માને છે. નિષ્ણાતો દાવો કરે છે કે, હાલની ઝડપથી ભારતને ૭૫ ટકા લોકોના વેક્સિનેશન સુધી પહોંચવામાં હજુ ૨૦ મહિના લાગી જશે, જ્યારે સરકારનો ટાર્ગેટ ડિસેમ્બર સુધીમાં આ લક્ષ્યાંક સુધી પહોંચવાનો છે. ભારત સરકારે જુલાઈ-ઓગસ્ટમાં એક કરોડ ડોઝ પ્રતિદિન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. સરકારને ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં ૨૧૦ કરોડ ડોઝ મળી જશે. એવી આશા રાખવામાં આવે છે કે ડિસેમ્બર સુધીમાં આપણે દેશની 75 ટકાથી વધુ વસતિને વેક્સિનેટ કરીને હર્ડ ઈમ્યુનિટી મેળવી લઈશું.