ગુજરાત સહિત દેશભરમાં યુદ્ધના ધોરણે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદમાં આવતીકાલે 45થી વધુ વયના લોકોનું રસીકરણ મોકૂફ
અમદાવાદ મનપા દ્વારા લેવાયો નિર્ણય
કોરોના રસીનો જથ્થો આવ્યા બાદ ફરી શરૂ થશે રસીકરણ
મળતી વિગત પ્રમાણે, અમદાવાદમાં આવતીકાલથી 45થી વધુ વયના લોકોનું રસીકરણ હાલ પુરતું મુલતવી રાખવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.
રસીનો જથ્થો આવ્યા બાદ ફરી શરૂ કરાશે રસીકરણ
એટલે કે, ફ્રન્ટલાઇન વોરિયર્સનું રસીકરણ આવતીકાલે બંધ રહેશે. આ નિર્ણયની જાહેરાત કરતા મનપા દ્વારા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાની રસીનો જથ્થો આવ્યા બાદ તે ફરી શરૂ કરવામાં આવશે.
18થી 44 વયજૂથના લોકોને અપાશે રસી
આ સાથે જ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 18થી 44 વયજૂથના લોકો કે જેમણે વેક્સિનેશન માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ લોકોને આવતીકાલે કોરોનાની રસી નિર્ધારિત કરવામાં આવેલ સ્થળો પર આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,999 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,52,275 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 140 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 140 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7648 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 747 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,47,499 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 492 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,25,73,211 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,25,73,211 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4616 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 55 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1309 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 347 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 497 કેસ, જ્યારે ગ્રામ્યમાં 439 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 397 કેસ અને ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે.