દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા હવે 4 લાખ 56 હજાર 183 થઇ ગઇ છે. 24 કલાકમાં દેશભરમાં કોરોનાના રેકોર્ડ 15,968 નવા કેસ સામે આવ્યાં છે. એક દિવસમાં 465 લોકોના મૃત્યું પણ થયા છે સ્વાસ્થ્ય મંત્રાલયની જાણકારી મુજબ કોરોનાના અત્યાર સુધીમાં 1 લાખ 83 હજાર 22 એક્ટિવ કેસ છે. આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 14 હજાર 476 લાખ લોકોના જીવ ગયા છે, જ્યારે 2 લાખ 58 હજાર 684 લોકો રિકવર થયા છે. કોરોનાથી ભારતમાં પ્રતિ એક લાખની જનસંખ્યામાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 6.04 છે. દેશમાં સતત પાંચમા દિવસે સંક્રમણના 15 હજારથી વધારે નવા કેસ સામે આવ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 4,56,183 થઇ ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનાના જણાવ્યાં મુજબ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 3947 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજધાનીમાં અત્યાર સુધીમાં 66,000થી વધારે સંક્રમિત સામે આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં મંગળવારના રોજ 3,214 નવા દર્દીઓ નોંધાયા છે. આ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 39 હજાર 10 થઇ ગઇ છે.
જ્યારે યુપીમાં મંગળવારના રોજ 571 નવા પોઝીટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 19 લોકોના મૃત્યું થયા છે. યુપીમાં સંક્રમિતોની સંખ્યા 18 હજાર 893 પર પહોંચી ગઇ છે. ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં પણ કોરોના કેસની સંખ્યા ઘણી વધારે છે.
કોરોના કેસને લઇને ભારત દુનિયામાં ચોથા નંબર પર છે. પહેલા નંબર પર અમેરિકા જ્યાં કુલ કેસની સંખ્યા 24 લાખથી વધારે છે અને 1.23 લાખથી વધારે લોકોના મૃત્યું થયા છે. જ્યારે બીજા નંબર પર બ્રાઝિલ, જ્યાં કુલ કેસની સંખ્યા 11 લાખથી વધારે છે.