ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જોકે કોરોના વેક્સિનેશન પણ ખૂબ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં ફરી વધ્યા કોરોના કેસ
છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધારે કેસ
34 જિલ્લાઓમાં કોરોના કેસની રફતાર 10 દિવસમાં ડબલ
કોરોના કેસ અપડેટ :
દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 16 હજાર 838 કેસ સામે આવ્યા છે જ્યારએ 13 હજાર 819 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. દેશમાં એક જ દિવસમાં 113 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે.
34 જિલ્લાઓમાં કેસ 10 દિવસમાં ડબલ
આંકડાઓ અનુસાર ભારતમાં આશરે 180 જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે. 34 જિલ્લા એવા છે જેમાં છેલ્લા દસ જ દિવસમાં કોરોના વાયરસના કેસ સીધા ડબલ થઈ રહ્યા હોય. આ જિલ્લાઓમાં સૌથી વધારે મહારાષ્ટ્રના 6 જિલ્લા, પંજાબના 5 જ્યારે કેરળ અને ગુજરાતના 4-4 જિલ્લાઓ છે.
ફરી આવ્યો માર્ચ!
નોંધનીય છે કે ગત વર્ષ માર્ચમાં જ્યારે કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો હતો તેના થોડા દિવસ બાદ જ દેશભરમાં લોકડાઉન લગાવી દેવાની ફરજ પડી હતી. ઠીક એક વર્ષ બાદ ફરી એવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. માર્ચમાં વધતાં તાપમાનની સાથે સાથે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.
ભારતમાં શિયાળો નહીં પણ ગરમીમાં વધ્યા હતા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જન સ્વાસ્થ્ય એક્સપર્ટ માનસ પ્રતિમ રૉયને પોતાના અધ્યયનમાં મળ્યું છે કે કોરોના વાયરસ પર મોસમની ખૂબ અસર પડે છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ગગનદીપ કાંગનું માનવું છે કે ભારતમાં કોરોના વાયરસ માટે સૌથી મહત્વપૂર્ણ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે. તેમનું માનવું છે કે 25થી 30 ડિગ્રી તાપમાન વચ્ચે વાયરસ વધવા લાગે છે અને જેમ તાપમાન 35ની ઉપર જાય વાયરસનો નેચર તેજ થઈ જાય છે.
નીતિ આયોગના ડૉ. વિકે પોલનું કહેવું છે કે કોરોના વાયરસના કેસમાં ઉતાર ચડાવ માટે મોસમ અથવા તાપમાન એક કારણ હોઇ શકે છે પરંતુ આ એક કારણ સિવાય પણ ઘણા એવા કારણ તેને અસર કરે છે. લોકોનો અતિઆત્મવિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક કોરોનાનો ખતરો ઊભો કરે છે.