કોરોના વાઈરસના સતત વધતા જતા કેસને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નેશનલ ઈમર્જન્સી (રાષ્ટ્રીય કટોકટી) જાહેર કરી દીધી છે. તમામ રાજ્યોને તાકીદે કડક સાવચેતીભર્યાં પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, હું સત્તાવાર રીતે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરું છું.
સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસના કુલ 1,45,634 કેસ સામે આવ્યા
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કેબિનેટ મિટિંગમાં કટોકટીની જાહેરાત કરી
શુક્રવાર રાત સુધીમાં અમેરિકામાં કોરોના વાઈરસના કુલ 2000 કેસ નોંધાયા હતા
બીજી તરફ, સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસના કુલ 1,45,634 કેસ સામે આવ્યા છે. આજે વહેલી સવાર સુધીમાં કુલ 5,436 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકી પ્રમુખે રાજ્યોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સંકટની આ ઘડીમાં તમામ રાજ્યોએ તાત્કાલિક કોરોના વાઈરસ સામે કાર્યવાહી કરવા અસરકારક પગલાં ભરવા જોઈએ. અમે રાજ્યોને કોરોના સામે લડવા માટે 50 અબજ ડોલરનું ફંડ ફાળવી રહ્યા છીએ. એક નેશનલ ડેટા સેન્ટર અને સ્પેશિયલ યુનિટ બનાવવામાં આવ્યા છે. ત્યાંથી આખા દેશ પર નજર રખાશે. અમેરિકન સરકાર એ દરેક પગલા ભરવા જઈ રહી છે, જે દેશને આ મહામારીથી બચાવી શકે.
શુક્રવાર રાત સુધીમાં અમેરિકામાં કોરોના વાઈરસના કુલ 2000 કેસ નોંધાયા હતા. અહીં અત્યાર સુધીમાં કુલ 50 લોકોનાં મોત થયાં છે. ટ્રમ્પે અમેરિકાનાં બંદરો પર આવનારા તમામ વિદેશી જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે. મેક્સિકો અને અન્ય દેશોની સરહદો પર હાઈ થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. અમેરિકન આર્મીના સ્પેશિયલ મેડિકલ યુનિટને પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે એલર્ટ રહેવા જણાવાયું છે.
દરમિયાન, ભારતમાં ઘાતક કોરોના વાઈરસથી વધુ એક મોત થયું છે. કોરોના વાઈરસના કારણે દિલ્હીમાં પ્રથમ મોત નોંધાયું છે. કોરોનાનાં લક્ષણો દેખાતા 69 વર્ષીય મહિલાને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલા ડાયબિટીસ-હાઈપરટેન્શનથી પણ પીડાતી હતી. મૃતક મહિલાનો પુત્ર તાજેતરમાં જ વિદેશથી પરત આવ્યો હતો.
ભારતમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા વધીને 82 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમાં ભારતના 64, ઈટાલીના 16 અને કેનેડાની એક વ્યક્તિનો સમાવેશ થાય છે. કોરોનાના ચેપની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતરપ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં તમામ સ્કૂલો-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
દિલ્હી સરકારે કહ્યું છે કે, જો કોઈ તબીબ કે હોસ્પિટલ સંક્રમિત કે શંકાસ્પદની સારવાર કરવાથી ઈન્કાર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાના ચેપની આશંકાને પગલે સુપ્રીમ કોર્ટેમાં હવે માત્ર અરજન્ટ કેસની જ સુનાવણી થશે.
ઈટાલીમાં કોરોનાનો કેર જારી, 24 કલાકમાં 250નાં મોત
ઈટાલી કોરોના વાઈરસથી ત્રસ્ત છે. અહીં ગઈ કાલે કોરોના વાઈરસથી અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. અધિકારીઓએ કહ્યું કે, ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 250 લોકોનાં મોત નીપજ્યાં છે. ઈટાલીમાં કોરોનાથી એક જ દિવસમાં થયેલાં મોતની આ સૌથી મોટી સંખ્યા છે. આ સાથે જ ઈટાલીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 12,66 થઈ ગઈ છે. અહીં કુલ 17,660 લોકો કોરોનાગ્રસ્ત છે.
હવે સ્પેને પણ નેશનલ ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કેબિનેટ મિટિંગમાં કટોકટીની જાહેરાત કરી હતી. સ્પેનમાં અત્યાર સુધીમાં 4,202 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 120 લોકોનાં મોત થયાં છે.