માઈભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 8મી જૂનથી અંબાજીના કમાડ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. બે મહિનાથી બંધ મા અંબેની શક્તિપીઠના દર્શનો માટે કાયમ લાંબી કતારો લાગતી હોય છે ત્યારે હવે મા અંબેના દર્શન માટે કેટલીક શરતો સાથે ભક્તોને 8મી જૂનથી છુટ મળશે. કોરોના વાયરસને પગલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન હતુ જેને હવે 1લી જૂનથી 30મી જૂન સુધી અનલોક કરવામાં આવ્યુ છે જેને પગલે હાલ ધીરે ધીરે છુટછાટ આપવામાં આવી રહી છે.
ગર્ભગૃહમાં માત્ર 20 જ જણ જઈ શકશે
ભક્તોને પહેલા સેનેટાઈઝ થશે
ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે
વિશ્વ વિખ્યાત અંબાજી મંદિર 8 જૂનથી ભક્તોના દર્શન માટે ખુલશે. જોકે સરકારની ગાઈડલાઈન મુજબ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવાયા છે. જે મુજબ ભક્તોને દર્શન માટે એક માત્ર શક્તિ દ્વારથી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે.
અંબાજી ટ્રસ્ટના વહીવટી વિભાગના કહ્યા મુજબ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. દર્શન માટે આવતા માઈભક્તોને માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે. ભક્તોને મોહનથાળનો પ્રસાદ કે ભોજનાલયમાં અપાતા ભોજન પ્રસાદની વ્યવસ્થા હાલ પૂરતી બંધ રાખી છે.
ભક્તોને પહેલા સેનેટાઈઝ થશે
મંદિરમાં પ્રવેશ અપાતા પહેલા ભક્તોના હેડ સેનેટાઈઝ કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશ પહેલા ભક્તોનું મેડિકલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. વધુ ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ભોજન અને પ્રસાદનું કામ બંધ રાખ્યું છે. મંદિરમાં પ્રવેશતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જાળવશે તે માટે ‘અહીં ઉભા રહો’ સહિતના સ્ટીકર્સ અને અવેરનેસ માટે બેનર્સ પણ લગાવ્યા છે.
ગર્ભગૃહમાં માત્ર 20 જ જણ જઈ શકશે
મંદિરના ગર્ભગૃહમાં 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દરવાજા બંધ કરીને એક માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે. મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખા, પર્સ અને બેલ્ટ સહિતની વસ્તુઓ થેલીમાં પેક કરીને લગેજ રૂમમા આપવાની રહેશે.
ભક્તોનું માના દર્શન પહેલા કરાશે સ્ક્રિનિંગ
મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોને શક્તિ દ્વાર પાસે તહેનાત કરાયેલી મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.