આજથી સમગ્ર દેશમાં અનલૉક-1 ચાલી રહ્યું છે. ત્યારે આ અનલૉક-1માં રેસ્ટોરન્ટ, હોટલ, મોલ અને મંદિરોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને આજથી (8 જૂન) રાજ્યમાં શરતી મંજૂરી સાથે આ તમામ હોટલો અને મંદિરો ખોલી શકાશે. જોકે કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.
આજથી રેસ્ટોરન્ટ, મંદિર અને મોલ ધમધમશે
અનલૉક-1માં કેટલીક છૂટ આપવામાં આવી છે
રાજ્યમાં સુપ્રસિદ્ધ મંદિરોના દ્વાર પણ ખુલશે
આખરે બે મહિનાથી વધુ સમય પછી રાજ્યમાં મોલ અને રેસ્ટોરન્ટ શરૂ થશે. આજથી સોશિયલ ડિસ્ટંસિંગના પાલન સાથે રાજ્યમાં મોલ, રેસ્ટોરન્ટ અને હોટલને મંજૂર આપાઈ છે. હોટલમાં હવે સ્લેટમાં મેનુ અપાશે. હોટલમાં કામ કરતા વેઈટર્સને એક દિવસ અગાઉ ટ્રેનિંગ અપાઈ હતી. સોશિયલ ડિસ્ટંસિંગના પાલન સહિતના નિયમો શીખવાડાયા હતા. હોટલમાં શક્ય હોય તો ઓનલાઈન પેમેન્ટનો જ આગ્રહ રખાશે.
ધાર્મિક સ્થળોને પણ મોટી રાહત મળી
અનલૉક-1માં કેટલીક છૂટ આપવામાં આવી છે જેમાં ધાર્મિક સ્થળોને પણ મોટી રાહત મળી છે. આજથી (8 જૂન) દેશમાં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે ધાર્મિક સ્થળો સરકારની ગાઇડલાઇન મુજબ ખુલશે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ છૂટછાટ આપવામાં નહીં આવે.
સોમનાથ મહાદેવ અને અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા મુકાશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લા કરાશે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદીરોને પણ ખુલ્લા મુકાશે. ભાલકાતીર્થ, રામમંદિર, અહલ્યાબાઇ મંદિરના દ્વાર પણ ખુલશે. તો આ તરફ ભીડીયા ભીડભંજન મંદિર, ગીતામંદિર સહીતના મંદિરો પણ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના માર્ગદર્શનથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજથી અંબાજીના કમાડ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. બે મહિનાથી બંધ મા અંબેની શક્તિપીઠના દર્શનો માટે કાયમ લાંબી કતારો લાગતી હોય છે ત્યારે હવે મા અંબેના દર્શન માટે કેટલીક શરતો સાથે ભક્તોને 8મી જૂન એટલે આજથી છુટ મળશે. કોરોના વાયરસને પગલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી લૉકડાઉન હતુ.
અમદાવાદમાં મંદિરો ખુલશે
અમદાવાદમાં પણ 8 જૂનથી મંદિરોના દ્વાર ખુલશે. એટલું જ નહીં ભક્તો જ્યારે મંદિરમાં દર્શન કરવા પહોંચે ત્યારે ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે તકેદારી રખાશે. બે મહિનાથી તમામ મંદિરો બંધ હતા. ભક્તોની ભીડ ન થાય માટે વ્યવસ્થા ગોઠવવમાં આવી છે. ઇસ્કોન મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના માર્કિંગ બનાવાયા છે. કોરોના સંક્રમણ વધે નહીં તેવી તકેદારી પણ મંદિરોમાં રખાશે. સવારે 7થી 1 અને સાંજે 4થી 8.30 સુધી મંદિર ખુલ્લુ રહેશે. મંદિરમાં પહેલા હેન્ડ સેનેટાઇઝ અને માસ્ક અપાશે. દર્શનાર્થીઓને મંદિરમાં પ્રસાદ અપાશે નહીં.
સુરતમાં પણ આજથી મંદિરોના દ્વાર ખુલશે
સુરતમાં મંદિરના સંચાલકોએ વ્યવસ્થા કરી લીધી છે. સોશિયલ ડિસ્ટંસિંગ સહિતની સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે. મંદિર બહાર સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે. કેટલાક મંદિર બહાર સેનેટાઈઝર ટનલ પણ બનાવાઈ છે. જેને ભક્તો મંદિરમાં જતાં પહેલાં ડિસઈન્ફેક્ટ થઈ શકે. એટલું જ નહીં હાલ મંદિરમાં ભક્તોને પુજાવિધિનો સામાન પણ નહીં લઈ જવા દેવામાં આવે છે. એટલે કે, સંક્રમણ નહીં થાય તેનું પુરતું ધ્યાન આપવામાં આવશે. કેટલાક મંદિરના સંચાલકોએ કહ્યું છે કે જો મંદિરમાં ભક્તોની ભીડ વધશે તો મંદિર બંધ કરવાની પણ તેમની તૈયારી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ મંદિર આજથી ખુલશે
મોરબીના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ મંદિર આજથી ખુલ્લુ મુકવામાં આવશે. અહીં દર્શનાર્થીઓ માત્ર દર્શનનો જ લાભ લઈ શકશે. આરતી, પૂજા, ભોજન અને રહેવાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. દર્શનાર્થીએ સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ દરેકે મોઢે માસ્ક કે રૂમાલ બાંધવો ફરજિયાત રહેશે.
શામળાજીના મંદિરને આજથી ખોલવાનો કરાયો છે નિર્ણય
અરવલ્લીના શામળાજીના મંદિરને આજથી ખોલવાનો નિર્ણય કરાયો છે. શામળાજીના ભક્તો સોમવારથી ભગવાનના દર્શન કરી શકે છે. ત્યારે હવે મંદિરના દરવાજાને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. મંદિરમાં દંડવત પ્રણામ કે સ્પર્શ નહી કરી શકાય. મંદિરમાં ભક્તો શ્રીફળ અને પ્રસાદી પણ નહિ લઈ જઈ શકે.