આજથી દેશના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગોવાને ખુલ્લુ મુકાશે. કોરોનાના કારણે ગોવામાં લૉકડાઉન લાગુ કરાયું હતું ત્યારથી ગોવા પર્યટકો માટે બંધ હતું. જોકે ગઈકાલે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને આજથી ખોલવામાં આવશે. જેમાં પ્રવાસીઓને હોટલમાં એડવાન્સ બુકિંગ કરાવવું પડશે. આ સાથે પ્રવેશ માટે કોવિડ-19નું નેગેટિવ પ્રમાણપત્ર દેખાડવું પડશે. રાજ્યની સરહદ પર પણ તપાસ કરાવવી પડશે. મળતી માહિતી અનુસાર ઓક્ટોબર મહિનામાં વિદેશી પ્રવાસીઓને પણ મંજૂરી મળી શકે છે.
ગોવા આજથી પર્યટકો માટે ખુલ્લુ
હોટલમાં કરાવવું પડશે એડવાન્સ બુકિંગ
કોવિડ-19ના નેગેટિવ પ્રમાણપત્ર પર જ એન્ટ્રી
250 હોટલો ફરીથી થશે ચાલુ
ગોવાના પર્યટનમંત્રી એમ અજગાંવનકરે કહ્યું છે કે ગુરુવારથી એટલે કે આજથી ગોવાને પર્યટકો માટે ખોલવામાં આવશે અને તેને માટે 250 હોટલને ફરીથી ચાલુ કરવાની પરમિશન પણ આપવામાં આવી છે.
એન્ટ્રી માટે છે આ જરૂરી
તેઓએ કહ્યું છે કે ગોવામાં પ્રવેશ માટે પર્યટકોએ 48 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે લાવવાનો રહેશે. આ પછી ગોવામાં અનિવાર્ય રીતે કોરોનાનું ટેસ્ટિંગ કરાવવાનું રહેશે.
ગોવામાં કુલ 1315 કેસ
એક સમયે ગોવા એક રીતે દેશનું કોરોના મુક્ત રાજ્ય હતું, પણ પછી અહીં કેસ સતત વધ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર અહીં 1315 કોરોનાના કેસ છે જેમાંથી 716 એક્ટિવ કેસ છે. અહીં અત્યારસુધીમાં 716 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને સાથે 596 લોકો સાજા થઈ ચૂક્યા છે. આ સાથે જ અહીં 3 લોકોના મોત થયા છે.