દેશમાં કોરોના સંક્રમણનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને હવે કોરોનાના કેસોની દૃષ્ટિએ ભારત ફરી દુનિયામાં બીજા નંબરે પહોંચી ગયું છે.
ભારતમાં કોરોના સંક્રમણે વધારી ચિંત
ભારત ફરી દુનિયામાં બીજા નંબરે પહોંચ્ય
132 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા
કોરોના સંક્રમણના જીવલેણ પ્રકોપથી બચવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે આજના જ દિવસે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું, પરંતુ હજુ પણ કોરોના વાઈરસનો પ્રકોપ દૂર થયો નથી.
૧૩૨ દિવસ બાદ સૌથી વધુ કેસ નોંધાયા
દેશમાં ૧૩૨ દિવસ બાદ પ્રથમવાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૪૭,૨૬૨ નવા કેસ સામે આવ્યા છે અને આ વર્ષે પ્રથમ વખત એક જ દિવસમાં ૨૭૫ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
૧,૧૨,૦૫,૧૬૦ દર્દીઓ થયાં સાજા
જોકે, ૨૩,૯૦૭ લોકો ઘાતક કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. આ અગાઉ ૧૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ દેશમાં કોરોનાના ૪૭,૯૦૫ કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧,૧૭,૩૪,૦૫૮ થઈ ગઈ છે. તેની સામે કુલ ૧,૧૨,૦૫,૧૬૦ દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે અને આથી હવે દેશભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩,૬૮,૪૫૭ પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાના કારણે કુલ ૧,૬૦,૪૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારતે વેક્સિનેશનની બાબતમાં પણ સીમાચિહ્ન રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને અત્યાર સુધીમાં ૫,૦૮,૪૧,૨૮૬ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી ચૂકી છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૬૯૯ નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૧૦૧ નવા કેસ સામે આવ્યા છે અને ચાર સંક્રમિતોનાં મોત થયાં છે. દિલ્હીમાં કોરોનાની સતત વણસતી સ્થિતિને ધ્યાનમાં લઈને હોળી, નવરાત્રી અને શબ-એ-બારાત જેવા તહેવારો ઉજવવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી એરપોર્ટ, રેલવે સ્ટેશન અને આઈએસબીટી પર હવે કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪,૪૧૧ થઈ ગઈ છે.
પંજાબમાં કોરોનાના નવા સ્ટ્રેન મળતાં ખળભળાટ
દરમિયાન પંજાબમાં કોરોનાના નવા સ્ટ્રેન મળતાં ખળભળાટ મચી ગયો છે. સરકારે ૪૦૧ સેમ્પલ જિનોમ સિક્વન્સના ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા તેમાંથી ૮૧ ટકા સેમ્પલમાં બ્રિટન (યુકે)ના નવા સ્ટ્રેન સામે આવતા તંત્રની ચિંતા વધી ગઈ છે. ત્યારબાદ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના લોકોને જલદીથી વેક્લિન મુકાવવાની અપીલ પણ કરી છે. આમ બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનથી દેશમાં સંક્રમણના ૭૯૫ કેસ સામે આવ્યા છે.મધ્યપ્રદેશમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૦૨ નવા કેસ સામે આવતા હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨,૭૮,૫૭૭ પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં હજુ વધુ શહેરોમાં લોકડાઉન લગાવવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે.
અનેક રાજ્યોમાં પ્રતિબંધ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના વધતા કેસ પાછળ લોકોની બેદરકારી પણ જવાબદાર છે. હોળીનો તહેવાર નજીક હોવાથી લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં કોરોનાના કેસ બમણા થવાની મર્યાદા હવે ૨૦૨.૩ દિવસ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ અને તામિલનાડુમાં દેશના ૮૦.૯૦ ટકા કેસ નોંધાયા છે, જ્યારે ૬૦.૫૩ ટકા કેસ તો એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે.