જો કોઈ વ્યક્તિ કોવિડ 19થી સંક્રમિત છે અને પ્રારંભિક તબક્કે તેની તપાસ કરવામાં આવે છે, તો તેનું રિઝલ્ટ નેગેટિવ આવી શકે છે. જ્યારે વાસ્તવિકતામાં તે આ રોગની ચપેટમાં આવી ગયો હોય એમ બની શકે છે. એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે લક્ષણો દેખાય તે પછી ત્રણ દિવસ પછી વાયરસનું ટેસ્ટિંગ કરવું વધુ સારું છે.
આ અભ્યાસ 'એનાલિસિસ ઓફ ઇન્ટરનલ મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયો છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સહિત અન્ય ઘણા દર્દીઓના મોંની લાળના 1,330 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું છે.
ટેસ્ટ નેગેટિવ આવે છે એટલે એવી ગેરંટી નથી કે તે સંક્રમિત થયેલો નથી
અધ્યયનના સહ લેખક લોરેન કુસિર્કાએ કહ્યું, "કોઈ વ્યક્તિને લક્ષણો હોય કે ન હોય પણ તેનો ટેસ્ટ નેગેટિવ આવે છે એટલે એવી ગેરંટી નથી કે તે સંક્રમિત થયેલો નથી. ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તો પણ દર્દી સંક્રમિત હોય તો બીજાના જીવ જોખમમાં પડે છે."
લક્ષણો ધરાવતા દર્દીઓને સંક્રમિત માનીને તેમનો ઈલાજ શરુ કરી દેવો જોઈએ
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દર્દીઓ કે જેઓ કોરોના વાયરસથી સંક્રમિત થવાની વધુ સંભાવના ધરાવતા હોય છે, તેઓને ચેપગ્રસ્ત માનીને તેમનો ઈલાજ શરુ કરી દેવો જોઈએ. ખાસ કરીને જો તેમનામાં કોવિડ 19 સાથે સુસંગત લક્ષણો હોય. તેમનું માનવું છે કે દર્દીઓને તપાસની ત્રુટીઓ વિશે પણ જાણ કરવી જોઈએ.
કોરોના વાયરસના ચેપનો ટેસ્ટ કરવાનો શ્રેષ્ઠ સમય એ ચેપના આઠ દિવસ પછીનો છે
ડેટાના આધારે, સંશોધનકારોએ અંદાજ લગાવ્યો છે કે ચેપ લાગ્યાં પછીના ચાર દિવસ પછી ટેસ્ટ કરવામાં આવે છે, તેઓમાં ટેસ્ટ ભલે નેગેટિવ આવે પણ સાચેમાં તેઓ સંક્રમિત હોવાની સંભાવના 67 ટકા કરતા વધારે હોય છે. સંશોધનકારો કહે છે કે કોરોના વાયરસના ચેપનો ટેસ્ટ કરવાનો શ્રેષ્ઠ સમય એ ચેપના આઠ દિવસ પછીનો છે, જે લક્ષણો દેખાય પછી સરેરાશ ત્રણ દિવસ પછી હોઈ શકે છે.