દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નવો નિર્દેશ જારી કર્યો છે. જે મુજબ, બધાં ન્યૂમોનિયાના દર્દીઓએ કોરોના વાયરસની તપાસ કરાવવી પડશે. જેથી આ લોકોમાં કોઈને કોરોનાનો ચેપ લાગ્યો નથી તેની તપાસ થઈ શકે. આરોગ્ય મંત્રાલયે 20 માર્ચ 2020ના રોજ આ નિર્દેશ જાહેર કર્યો છે.
દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કર્યો નિર્દેશ
આ બીમારી હોય તો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલું આ નિર્દેશ 31 માર્ચ 2020 સુધી અમલમાં રહેશે. તેમજ એમ પણ કહેવામાં આવ્યું છે કે, ન્યૂમોનિયાથી પીડિત દર્દીઓની માહિતી રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી) અથવા ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી)માં આપવાની રહેશે.
આરોગ્ય મંત્રાલયે દેશની તમામ હોસ્પિટલોને કહ્યું છે કે, કેમ્પસમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કેન્દ્ર સરકારે લીધેલા આ પગલાંથી દેશમાં કોરોના દર્દીઓની તપાસ અંગે ઉભા થતાં પ્રશ્નોનો અંત આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તેની લેબોરેટરીઝમાં અને અન્ય હોસ્પિટલોમાં આવતા કોરોના દર્દીઓ પર પણ નજર રાખી રહી છે. લેબોરેટરીઝમાં આ ટેસ્ટની સંખ્યા વધી રહી છે
ન્યૂમોનિયાના દર્દીઓની તપાસ કરીને, ફક્ત પરીક્ષણોની સંખ્યા જ નહીં, કોરોનાના ફેલાવા અને તીવ્રતાનો પણ ચોક્કસ અંદાજ લગાવી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશની તમામ હોસ્પિટલોને સૂચના આપી છે કે, તેઓ 22 માર્ચ 2020ના રોજ કોરોના વાયરસની તૈયારીને લઈને જનતા કર્ફ્યુ દરમિયાન ડ્રિલ કરશે. જેથી આપણે આપણી ક્ષમતાઓનું આકારણી કરી શકીએ.
મંત્રાલયે કહ્યું છે કે, તમામ હોસ્પિટલોએ તપાસ કરી લેવી કે તેમની પાસે વેન્ટિલેટર, ઓક્સિજન, માસ્ક, હેઝમેટ સૂટ, આઈસીયૂ વગેરેની પૂરતી વ્યવસ્થા છે કે નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દરેક દર્દી સાથે એક જ એટેન્ડન્ટ હશે અને આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
20 માર્ચ 2020ના રોજ, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, 14514 લોકો પાસેથી 15404 સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમનો ટેસ્ટ દેશની વિવિધ લેબોરેટરીઝમાં કરવામાં આવશે. જેમાંથી 236 સેમ્પલ પોઝિટિવ જોવા મળ્યા છે.
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસથી બીમાર વ્યક્તિને ગંભીર સ્ટેજનું ન્યૂમોનિયા થાય છે. જેના કારણે તેના ફેફસાં કામ કરવાનું બંધ કરી દે છે. ચીનના વુહાનમાં ન્યૂમોનિયાના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. જે પછીથી ખબર પડી કે તેઓ કોરોનાથી સંક્રમિત છે.