એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો, કેસની સંખ્યા 20 હજારને પાર પહોંચી છે ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલનો 75 ટકા નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે.
અમદાવાદની SVP હોસ્પિટલ ફરી વિવાદમાં
નર્સિગ સ્ટાફના પગાર કપાત મુદ્દે થયો વિરોધ
સ્ટાફના ધરણાને પગલે સત્તાધીશોએ નિર્ણય પરત ખેંચ્યો
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, નર્સિગ સ્ટાફના પગારમાં 20% થી વધારેનો કાપ મુકવામાં આવતા કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને કામથી અળગો રહ્યો છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ ઘરણાં યોજ્યા હતા.
નિર્ણય પરત ખેંચાયો
જો કે, સ્થિતિ વધુ વણસે તે પહેલા જ આ કપાત પગારનો નિર્ણય પરત લેવામાં આવ્યો હતો. જો કે, ધરણા યોજનારા કર્મીઓના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયને લઇને સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મૌખિક રીતે નિર્ણય પરત ખેંચાયાની વાત કરાઇ છે.
AMCએ UDS કંપનીને ફટકાર્યો દંડ
SVP નર્સિંગ સ્ટાફ હડતાળને લઇને અમદાવાદ મહાનગરપાલિકાએ UDS કંપનીને પત્ર લખીને નોટીસ ફટકારી છે અને વધુ 20 ટકા પગાર ચૂકવવાના આદેશ પણ આપ્યા છે, આ સાથે જ એપેડેમિક નિયમ મુજબ 250 નું ભથ્થું પણ આપવું પડશે.
શું હતો સમગ્ર મામલો ?
ઉલ્લેખનીય છે કે, એકસાથે 200થી વધારે સ્ટાફના પગારમાં કપાત કરવામાં આવ્યો છે. આમ પગારમાં 10 હજારથી 12 હજાર રૂપિયા સુધીનો કાપ મુકવામાં આવતા નર્સિગ સ્ટાફના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ સાથે જ કામ કરવું હોય તો કરો નહિ તો જોબ છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. તો સંચાલકોએ દ્વારા કંપની લોસમાં છે તેવું કહી બચાવ કર્યો હતો. આ ઘટનાને લઇને હોસ્પિટલનો 75 ટકા સ્ટાફ ધરણાં પર ઉતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો. જો કે, ત્યારબાદ સત્તાધીશોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો હતો.