એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવા માટે વેક્સિનેશન અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિનિયર સિટીઝન્સે વેક્સિન ન લીધી હોવા છતાં સર્ટિફિકેટ મળ્યું છે.
કોરોના વેક્સિનેશનમાં લોલમલોલ
વેક્સિન ન લીધી છતા મળી ગયું સર્ટી
સુરત મનપાની બેદરકારી
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સિનિયર સિટીઝન્સને વેક્સિન માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધી હતી પરંતુ તંત્રની બેદરકારીના કારણે વેક્સિન લીધા પહેલા જ આ વૃદ્ધને વેક્સિન લીધાનું સર્ટિફિકેટ મળતા ચોંકી ગયા હતા.
વેક્સિન લીધા પહેલા જ મળ્યું સર્ટિફિકેટ
ત્યારે હવે આ મામલે સવાલ એ ઉઠે છે કે, તંત્રની એવી કેવી બેદરકારી કે પણ પછી વેક્સિનેસનમાં લોલમલોમ ચાલી રહ્યું છે કે,સિનિયર સિટીઝન્સે વેક્સિન લીધા પહેલા જ તેમની વેક્સિન લીધાનું સર્ટિફિકેટ મળી ગયું ?
અમદાવાદ અને સુરત ફરી બની રહ્યા છે કોરોનાનું કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત ફરીવાર કોરોનાનું કેન્દ્ર બની રહ્યા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે તો તકેદારીના ભાગરૂપે કોવિડ-19ના નિમયોનું પાલન ગંભીરતા પૂર્વક થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
સુરતમાં શાળા અને કોલેજો શરૂ થતાં જ કોરોના સંકટ ઘેરાયું
સુરતમાં શાળા અને કોલેજો શરૂ થતાંની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું છે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ સૂચન કરવામાં આવ્યું છે. કોચિંગ ક્લાસીસને પણ ઓનલાઈન કરનવામાં આવે તે માટે સૂચન કરવામાં આવ્યું.
દેશભરમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં
ભારતમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. તેવામાં હવે વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધી 2.91 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એક દિવસમાં રેકોર્ડ 20.53 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અને અત્યાર સુધી દેશમાં 53.12 લાખ લોકોને બીજો ડોઝ પણ લગાવી દેવામાં આવ્યો છે.
સૌથી વધુ વેક્સિનના ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા
સૌથી વધુ વેક્સિનના ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા છે. જ્યાં 3.3 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં 2 વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે. જોકે દેશમાં હજુ પણ 6 અન્ય વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. નિષ્ણાતોનો પણ મત છે કે જો કોરોનાને ઝડપથી કાબૂમાં કરવો હશે તો વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી લોકોને આપવામાં આવે. જેથી કોરોનાના સંક્રમણથી લોકો બચી શકે.