કોરોના વાયરસે આખા ગુજરાતને બાનમાં લીધું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોની સ્થિતિ વધારે કથળેલી છે ત્યારે આજરોજ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરીને આગામી 15 મે સુધી દૂધ અને દવા જ મળશે ત્યારે આવો જ એક કડક નિર્ણય સુરત કમિશનરે પણ લીધો છે.
અમદાવાદ બાદ સુરત કમિશનરનો મોટો નિર્ણય
9 મેથી એપીએમસી માર્કેટ તથા શાકભાજીની લારી રહેશે બંધ
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ અંગે જાહેરાત કરી હતી કે, આગામી 9 મે અને શનિવારથી 14 મે સુધી સુરત એપીએમસી માર્કેટ તથા તમામ શાકભાજીની લારીઓ અને દુકાનો પણ બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા 30 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 783 થઈ ગઈ છે.
9 મેથી 14 મે સુધી બંધ રહેશે APMC માર્કેટ
સુરત મનપા કમિશનર બંછાનિધી આ અંગે જણાવ્યું હતું કે, શાકભાજી વિક્રેતા સુપર સ્પ્રેડર હોવાથી કોરોના વાયરસ ફેલાવાનો ભય વધારે રહેલો છે. ત્યારે આ માહામારીને કાબૂમાં લેવા માટે આ પ્રકારનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં 15 મે સુધી તમામ સેવાઓ કરાઇ બંધ
અમદાવાદમાં ગઈકાલે 39 મોત નોંધાયા છે અને 349 નવા કેસ નોંધાયા છે ત્યારે ખુદ રાજ્ય સરકાર પણ આ મામલે ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી માર્ચ સુધી અમદાવાદમાં દૂધ અને દવાઓ સિવાયની કોઈ પણ સેવાઓ ખુલ્લી નહીં રહે. આજે રાતે 12 વાગ્યાથી આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.