ગુજરાતમાં કોરોના સંકટ વધી રહ્યું છે અને કેટલાક સ્થળે બેડની પણ અછત જોવા મળી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ બાબતો વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવારમાં બેદરકારીનો આરોપ લગ્યો છે.
કોરોનાના દર્દીના સગાનો આક્ષેપ છે કે, તેમના સ્વજનની યોગ્ય રીતે સારવાર કરવામાં આવી રહી નથી. તો હોસ્પિટલ તંત્ર પર એવા પણ આક્ષેપો દર્દીના પરિવારજનોએ લગાવ્યા છે કે, કોરોના દર્દીને સમયસર પાણી જમવાનું ન અપાતું હોવાનો આરોપ લાગ્યો છે.
દર્દીના પરિવાજનોએ તંત્ર પર લગાવ્યા આક્ષેપ
આ ઉપરાંત દર્દીના સગાનો આરોપ છે કે, દર્દીના બેડની સાફ-સફાઈ પણ નથી કરાતી. દર્દીને જે કપડાં મોકલવામાં આવે છે તે પણ સમયસર નથી પહોંચી રહ્યા.
રાજ્યમાં આજે સૌથી વધુ 4541 નવા કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
અત્યાર સુધીમાં 4620 લોકોના થયાં મોત
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ અને ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 891 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 213 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 265 કેસ, જ્યારે ગ્રામ્યમાં 141 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 340 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.