ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ બાદ હવે સુરત અને વડોદરાની સ્થિતિ વધુ કથળી રહી છે. સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે હવે સુરતમાં મૃત્યુના આંકડામાં ગોટાળા સામે આવ્યા છે.
સુરતમાં કોરોનાથી મૃત્યુના આંકડામાં ગોટાળા
સુરત સિવિલમાં અત્યાર સુધી 756 મૃત્યુ થયા
સિવિલમાં 340 અને કોવિડમાં 416ના મૃત્યુ થયા
ઉલ્લેખનીય કે, સુરતમાં સુરત સિવિલમાં અત્યાર સુધી 756 મૃત્યુ થયા છે. જેમાં સુરત સિવિલમાં 340 અને કોવિડમાં 416ના મૃત્યુ થયા. જો કે સરકારી ચોપડે માત્ર 497 લોકોના મૃત્યુ થયાનું નોંધાયું છે. ત્યારે તંત્ર દ્વારા આંકડા છૂપાવતા હોવાનો આક્ષેપ કરાયો છે.
કોરોના વોરિયર્સમાં પણ હવે સતત સંક્રમણ વધી રહ્યું છે
સુરતમાં કોરોના વોરિયર્સમાં પણ હવે સતત સંક્રમણ વધી રહ્યું છે.વધુ 5 જેટલા તબીબો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સિવિલ,સ્મીમેર અને ખાનગી હોસ્પિટલના 5 તબીબોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પીએસઆઇ અને બે હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમજ એક શિક્ષકનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. મનપાના વધુ 9 કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે. ફાયર વિભાગના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આજે સુરતની મુલાકાત લેશે CM રૂપાણી
શ્રી વિજયભાઇ રૂપાણી પોતના 64માં જન્મદિવસે પણ સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષા અને સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સૂરત જવાના છે.