ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે કોરોનાના નવા આંકડા ડરાવી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ
દર એક મિનિટે 117 નવા કેસ
દર કલાકે 38 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પહેલી લહેરમાં પણ આટલી ઝડપે કેસ નહોતા વધી રહ્યા છે. કોરોનાના કહેરના મામલે ભારત આજે વિશ્વમાં બીજા નંબર પર પહોંચી ગયો છે ત્યારે ભારતમાં દરરોજ કોરોના વાયરસના દૈનિક કેસના આંકડામાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, પહેલા કરતાં વધારે મોત કોરોના વાયરસની આ બીજી લહેરમાં થઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 904 લોકોના મોત થઈ ગયા છે જેના કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
ભારતમાં દર કલાકે 7038 નવા કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે અને દર એક મિનિટે 117. જ્યારે દર કલાકે 38 લોકો પોતાના શ્વાસ કોરોના વાયરસના કારણે છોડી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેરમાં જ્યારે પિક આવી હતી ત્યારે પણ એક દિવસમાં 97,894 કેસ સામે આવ્યા હતા જ્યારે આજની તારીખમાં તેના કરતાં પણ ખૂબ વધારે કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે.
પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે સરખામણી કરીએ તો આ વખતે કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે કોરોના વાયરસનો કોઈ નવો સ્ટ્રેન છે જે ખૂબ જ સંક્રામક છે.
ભારત પાસે અત્યારે કોરોના વાયરસની વેક્સિન પણ છે અને દરરોજ લાખો લોકોને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે તેમ છતાં આ મહામારી રોકાવાનું નામ નથી લઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં કોરોનાનો સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આ માહમરી ક્યાં રોકાશે તેને લઈને જનતા પણ ડરી ગઈ છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (12 એપ્રિલ, 2021)
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 1,68,912 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 75,086 લોકો સાજા થયા છે અને 904 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડા સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.