દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે સુનામીના તોફાની મોજાની જેમ ફેલાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં, 1.84 લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે,
કોરોનાની નવી લહેરમાં અમુક રાજ્યો ખાસ પ્રભાવિત નથી થયા
દેશમાં હાલમાં 9 જેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં 500થી પણ ઓછા કેસ
આ રાજ્યોમાં નોર્થ ઈસ્ટ અને અમુક ટાપુકીય કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ
મહત્વનું છે કે ગત 24 કલાકમાં કોરોનાથી દેશમાં રેકોર્ડબ્રેક 1.84 લાખ નવા કેસ આવ્યા છે, તેની સાથે જ 1 હજારથી વધુ લોકો મૃત્યુ પણ પામ્યા છે. એક દિવસમાં આ દર્દીઓની સંખ્યા સૌથી વધુ સંખ્યા છે. હજુ થોડા અઠવાડિયા પહેલા જ, જ્યાં દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.5 લાખ જેટલી થઈ ગઈ હતી, પરંતુ હવે આ આંકડો 13 લાખને પાર કરી ગયો છે. જો કે, દેશમાં હજુ પણ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે, જ્યાં કોરોનાની આ બીજી લહેરની વધુ અસર જોવા મળી નથી, આ રાજ્યોમાં, એક્ટિવ કેસની સંખ્યા હજુ પણ 500 કરતા ઓછી છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા વધુ છે
હાલમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોની લિસ્ટમાં મહારાષ્ટ્ર સૌથી અગ્રેસર છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ 50 થી 60 હજાર જેટલા દૈનિક કેસ આવી રહ્યા છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા લગભગ 6 લાખ જેટલી થઈ ગઈ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસથી 58 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સક્રિય કેસોના કિસ્સામાં, છત્તીસગઢ બીજા ક્રમે છે, જ્યાં હાલમાં 1,09,139 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશ આ લિસ્ટમાં 95,980 એક્ટિવ કેસ સાથે ત્રીજા સ્થાને છે, તેના પછી કર્ણાટકમાં, 78,636, કેરળમાં 52,450, તમિળનાડુમાં 49,985, મધ્યપ્રદેશમાં 43,539, દિલ્હીમાં 43,510, રાજસ્થાનમાં 40,655, ગુજરાતમાં 34,555, પશ્ચિમ બંગાળમાં 29,050, પંજાબમાં 28,184, આંધ્ર પ્રદેશમાં 25,850, તેલંગાણામાં 25,459 અને હરિયાણામાં 24,207 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ રાજ્યોમાં 500 કરતાં પણ ઓછા એક્ટિવ કેસ
જો કે, પ્રથમ લહેરની જેમ, આ વખતે પણ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં સક્રિય કેસની સંખ્યા 500 કરતા પણ ઓછી છે. આમાં નોર્થ ઇસ્ટના ઘણા રાજ્યો શામેલ છે. હાલમાં અરુણાચલ પ્રદેશના કોરોનાના ફક્ત 55 દર્દીઓ, લક્ષદ્વીપમાં 86 અને આંદામાન-નિકોબાર આઇલેન્ડમાં 93 દર્દીઓ છે. મણિપુરમાં 118 દર્દીઓ, નાગાલેન્ડમાં 174 અને સિક્કિમમાં 175 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સિવાય મિઝોરમમાં 204, મેઘાલયમાં 270, ત્રિપુરામાં 312 સક્રિય કેસ છે.
જો કે મહત્વનું છે કે આ રાજ્યોની ભૌગોલિક સંરચનાના હિસાબે પણ અહીં કોરોના લહેરની સામે રક્ષણ મેળવ્યું હોઈ શકે છે, નોંધનીય છે કે ઉત્તર પૂર્વના રાજ્યો પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે, જેના લીધે આ રાજ્યોમાં લોકો વચ્ચે સંપર્ક થવું થોડું મુશ્કેલ છે, અને સાથે જ આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપ સમુદ્રથી ઘેરાયેલા હોવાથી અને મુખ્ય ભૂમિથી અલગ હોવાથી સંક્રમણની લહેરથી રક્ષણ મેળવી શકે છે.