હવે અમદાવાદીઓને કોરોનાના ટેસ્ટનું પરિણામ અડધો કલાકમાં જ મળી જશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેપિડ કીટ દ્વારા ટેસ્ટ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રેપિડ કીટ દ્વારા પ્રતિદિન વધુને વધુ ટેસ્ટ કરવાની સુચના આપવામાં આવી છે.
20 હજાર રેપીડ કીટનો ઓર્ડર અપાયો
મુંબઈ, દિલ્હી, સુરતમાં આ કીટ સફળ
500 રૂપિયાની કીટનું પરિણામ સચોટ
કોરોનાનો ટેસ્ટ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી PCR ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટેસ્ટનું પરિણામ આવતા બેથી ત્રણ દિવસ નીકળી જતા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા રેપિડ કિટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા 20 હજાર જેટલી કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે, આ કીટની વિશેષતા એ છે કે ટેસ્ટ કર્યાના અડધો કલાકની અંદર જ પરિણામ આવી જાય છે.
એક લાઇન આવે તો નેગેટિવ, બે લાઇન આવે તો પોઝિટિવ
રેપિડ કીટની વાત કરીએ તો તેમાં વ્યક્તિના નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે અને લીધેલા સેમ્પલને એક કેમિકલમાં મિક્સ કરી કીટ પર મૂકવામાં આવે છે. જો કીટ પર એક લાઈન આવે તો વ્યક્તિ નેગેટિવ હોય છે અને જો બે લાઈન આવે તો વ્યક્તિ પોઝિટિવ હોય છે.
આ કિટનું પરિણામ મુંબઈ, દિલ્હી, સુરત વગેરેમાં સચોટ છેઃ આરોગ્ય અધિકારી
અગાઉ દેશના વિવિધ શહેરોમાં રેપિડ કીટ લાવવામાં આવી હતી પરંતુ તે બહુ વિશ્વાસપાત્ર ના હોવાથી પરત ખેંચી લેવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય કે રેપિડ કીટ દ્વારા કરાતા ટેસ્ટની વિશ્વસનીયતા કેટલી ? જોકે આરોગ્ય અધિકારીનું માનીએ તો આ કિટનો ઉપયોગ મુંબઈ, દિલ્હી, સુરત વગેરેમાં થઈ રહ્યો છે અને તે સફળ રહ્યો છે. આ કીટ સ્વદેશી છે અને એક કીટની કિંમત 500 રૂપિયાની આસપાસ છે. તેનું પરિણામ સચોટ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 215 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 208 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,128 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 125 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,091 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 8 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,449 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3588 એક્ટિવ કેસ છે.