ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી પણ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં શહેરની 59 ખાનગી હોસ્પિટલ એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી, જ્યારે આઇસોલેશનના કુલ 986 બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો
59 ખાનગી હોસ્પિટલમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નહીં
ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનના કુલ 986 બેડ ખાલી
અમદાવાદની હોસ્પિટલમાં HDUમાં પણ 980 બેડ ખાલી
કોરોનાને લઇને અમદાવાદમાંથી રાહતના સમાચાર મળી રહ્યાં છે. જેમાં શહેરમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. હાલ 59 ખાનગી હોસ્પિટલમાં એકપણ દર્દી વેન્ટિલેટર નથી અને આ સાથે વેન્ટિલેટર સાથેના 62 ટકા બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં આઇશોલેશનના કુલ 986 બેડ ખાલી છે, જ્યારે શહેરની હોસ્પિટલમાં HDUમાં 980 બેડ ખાલી છે. જ્યારે બીજી તરફ ICUમાં વેન્ટિલેટર વિનાના 327 બેડ અને વેન્ટિલેટર સાથે 152 બેડ ખાલી છે.
આમ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કુલ 3,549 બેડમાંથી 2,445 બેડ હાલ ખાલી હોવા અંગે આ સરકારી આંકડાઓ કહી રહ્યાં છે.
18 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 1075 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ સાજા થવાનો દર વધ્યો છે.
ગઇકાલે જાહેર થયેલ પ્રેસનોટ અનુસાર, 1075 નવા કેસ સામે આવ્યા હતા. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,33,263 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.88 ટકા છે. રાજ્યમાં 54,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 89,44,722 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. તો ડાંગ, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 1155 આજે સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,16,683 દર્દીઓ સાજા થયાં છે. કોવિડ-19થી 8 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4211 થઇ ગઇ છે. તો હાલ 12,449 એક્ટિવ કેસ છે. જેમાંથી 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળતા સરકાર દ્વારા 8 ખાનગી હોસ્પિટલને કોવિડ ડેજીગ્રેટેડમાંથી મુક્ત કરવામાં આવી હતી. આમ શહેરમાં કોવિડ ડેજીગ્રેટેડ હોસ્પિટલની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જે હોસ્પિટલને ડેજીગ્રેટેડમાંથી મુક્ત કરાઇ તેમાં એશિયન હોસ્પિટલ, શિફા હોસ્પિટલ, પુખરાજ હોસ્પિટલ, એપોલો સિટી સેન્ટર-પાલડી, પુષ્ય હોસ્પિટલ, ઇન્ડોવાસક હોસ્પિટલ, સનરાઇઝ હોસ્પિટલ અને કર્ણાવતી હોસ્પિટલને મુક્તિ મળી હતી.