કોરોનાકાળ તમામ લોકોના સામાન્ય જનજીવન અને સાથે સાથે અન્ય બીમારીના દર્દીઓ માટે પણ મુશ્કેલીરૂપ બની ગયો છે. સરકારી હોસ્પિટલોમાં છેલ્લા ઓપીડીમાં આવતા દર્દીઓમાં ઘટાડો થયો છે. બીજી તરફ ઓપરેશન માટે દર્દીઓને લોકડાઉન પહેલાંની તુલનામાં પહેલાં કરતાં બમણા સમય સુધી રાહ જોવી પડી રહી છે. તો ક્યારેક દર્દીઓ પણ ઓપરેશન કરાવવાનું ટાળે છે.
કેટલીક હોસ્પિટલોમાં પણ ઓપીડી હજુ સંપૂર્ણપણે શરૂ નથી થયાં. દર્દીઓની સંખ્યા સામાન્ય દિવસોની તુલનામાં બહુ જ ઓછી થતી ગઈ છે. કોરોનાના કારણે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ વધુ હેરાન થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઊભું કરાયું હોવાથી લોકો સંક્રમણના ભયથી જ ત્યાં સારવાર કરાવવા નથી જતા.
જયારે કેન્સર હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં તબદિલ કરાઈ હોવાથી તાજેતરમાં કેન્સરના દર્દીની સર્જરી અઠવાડિયા માટે બંધ કરાઈ છે. આ સાથે કિડની અને હાર્ટની તકલીફનો સામનો કરી રહેલા ઓપીડીના દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. હવે જરૂરિયાત પ્રમાણે જ ઈમર્જન્સીના કેસોમાં આ દર્દીઓનાં ઓપરેશન થઈ રહ્યાં છે. કિડની લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવાં ઓપરેશનો બંધ કરી દેવાયાં છે.
શહેરની કેન્સર હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ફેરવી દેવાઇ છે. બધી જ પ્લાન્ડ સર્જરી ટાળી દેવાઇ છે. અમદાવાદમાં બે મહિનાથી દર્દીઓ ઓપરેશનની તારીખની રાહ જોઇ રહ્યા છે. ડેન્ટિસ્ટને ત્યાં પણ સામાન્ય રીતે એક સર્જરી પછી અન્ય દર્દીને એપોન્ટમેન્ટ અપાતી નથી. શહેરના ગુરુકુળ વિસ્તારના ડોક્ટર કવન શાહે જણાવ્યું હતું કે એક સર્જરી પછી તમામ સાધનો અને ડેન્ટલ ચેર સહિત રૂમ સેનેટાઇઝ કરવો પડે છે. જેમાં સમય લાગે છે. તેથી ઈમર્જન્સીમાં કન્સલ્ટન્સીમાં આવતા દર્દીને સર્જરી પહેલાં જ કન્સલ્ટ કરવા પડે છે.
ઓર્થો સર્જન સમીર મહેતાએ જણાવ્યું હતું કે કોવિડ નેગેટિવ ટેસ્ટ બાદ જ અમે ઓપરેશન પ્લાન કરીએ છીએ. સામાન્ય દિવસોની તુલનાએ ૪૦ ટકાથી વધુ ઓપરેશન ઓછાં થાય છે. સરકારી વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર હાલમાં કોવિડ પેશન્ટ વધુ હોવાથી ઇમર્જન્સી સિવાયના કેસોમાં સર્જરીમાં વેઇટિંગ આપવું પડે છે. ગાયનેકોલૉજિસ્ટ મેઘા મહેતાએ જણાવ્યું હતું કે ઈમર્જન્સીના કેસોમાં અમે સર્જરીમાં સમાધાન કરતા નથી, પરંતુ જો ચાલી જાય તેવું હોય તો પેશન્ટ પોતે જ કોરોનાના ડરથી સર્જરી કરાવવાનું ટાળે છે.