આણંદ શહેરની જાણીતી ડૉ.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ નીકળી જતા દર્દીનું મોત થયાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. દર્દીએ તકલીફને લઇને હોસ્પિટલ સ્ટાફને જણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્ટાફ તરફથી યોગ્ય સમયે સારવાર ન મળ્યાનો પણ આક્ષેપ લાગ્યો છે. તો ડૉ. અજય કોઠીયાલે હોસ્પિટલ સ્ટાફની બેદરકારી સ્વીકારી છે.
શું બની ઘટના?
ઓક્સિજનની પાઇપ નીકળી જતા કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. આ દરમિયાન દર્દીએ હોસ્પિટલનો અલર્ટ બેલ પણ દબાવ્યો હતો. તેમ છતાં સ્ટાફ અને ડૉક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત થયું હતું. જેને લઇને દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતા સમજીને હોસ્પિટલે આવી પહોંચેલા ડૉ.અજય કોઠીયાલાએ હોસ્પિટલના સ્ટાફની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું.
દર્દીએ ઇમરજન્સી બેલ માર્યો પણ નર્સિંગ સ્ટેશનમાં કોઇએ રિસીવ ન કર્યો, બાદમાં દર્દીએ ઘરે ફોન કર્યોઃ ડૉ.અજય કોઠીયાલા
આ ઘટનાને લઇને ડૉ.અજય કોઠીયાલાએ હોસ્પિટલની ભૂલ સ્વીકારી હતી. તેમણે પોતાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું હતું કે દર્દીના પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા છે જેનું અમને દુઃખ છે. દર્દી કોરોનાને કારણે ICUમાં હતા, જ્યાંથી સારવાર બાદ સારું થતા તેમને પ્રાઇવેટ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી પાસે જે માહિતી છે તે મુજબ દર્દીએ ઇમરજન્સી બેલ માર્યો હતો. પરંતુ રૂમની સામે જ આવેલા નર્સિંગ સ્ટેશન પરથી કોઈએ રિસીવ કર્યો નહોતો. બાદમાં દર્દીએ ઘરે પણ ફોન કર્યો અને ઘરેથી તાત્કાલિક દવાખાને ફોન કર્યો. પરંતુ ફરજ ઉપરના ડૉક્ટર દર્દી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દી મૃત્યુ પામ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર્દીની સારવાર માટે રાત્રે ડૉ. ભાવેશ, ડૉ. ક્રિષ્ના, ICUના ડૉ. સુશીલા અને નર્સિંગ સ્ટાફ હાજર હતો. ડૉકટરોએ મેડિકલ ટેક્નિક CPR અને DC સ્ટોક દ્વારા દર્દીને બચાવવા અડધો કલાકથી વધુ સમય સુધી મહેનત કરી હતી. પરંતુ દર્દીને બચાવી શક્યા નહોતા. રાત્રે દર્દીની પરિસ્થિતિ સારી હતી મેં છેલ્લે 9 કલાક આસપાસ દર્દીનો ઓક્સિજન સહિતનો રિપોર્ટ લીધો હતો. પ્રાથમિક તબક્કે આ ઘટના સ્ટાફની બેદરકારીને કારણે બનેલી જણાય છે. સ્ટાફની બેદરકારી બાબતે દિલગીર છું અને સગાઓના રોષ સાથે સહમત છું.