કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે ફેલાઇ રહ્યું છે તેણે દુનિયાભરના દેશોને ડરાવી દીધા છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ દેશ લૉકડાઉન કરવા પર મજબૂર થઇ ગયા છે. પીએમ મોદીએ પણ આજે સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે લૉકડાઉન 3 મે સુધી વધારી દીધું છે.
લૉકડાઉનને કારણે લોકો ઘરોમાં કેદ થઇ ગયા છે જેથી તેમની માનસિકતા પર ખરાબ અસર પડી રહી છે. ત્યારે સૌના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે આખરે ક્યારે તમામ વસ્તુઓ સામાન્ય બનશે? કોરોના વાયરસની મહામારી ક્યાં જઇને રોકશે?
બોરિસ જૉનસને કહ્યું, ઇગ્લેન્ડ 12 સપ્તાહમાં કોરોના પર કાબૂ મેળવશે
ઘણા દેશ લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ દ્વારા કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક દિવસો પહેલા યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમનો દેશ 12 સપ્તાહમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવી લેશે.
WHOના વિશેષ રાજદ્વારીની ચેતવણી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષ રાજદ્વારી ડેવિડ નાબારોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ માનવ જાતિનો લાંબો સમય સુધી પીછો કરતો રહેશે. જ્યાં સુધી લોકો વેક્સીનથી ખુદને સુરક્ષિત નહીં કરી લેતા, કોરોના વાયરસનો પ્રકોપ જારી રહેશે.
હાર્વર્ડ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ: એક અથવા બે મહીના સુધી લૉકડાઉનમાં રહેવુ પડે
હાર્વર્ડ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં ગ્લોબલ હેલ્થ ઇકોનોમિસ્ટ એરિક ફિગેલ ડિન્ગે સીએનબીસી સાથે વાતચીતમાં કહ્યું, કદાચ હાલ આપણે એક અથવા બે મહીના સુધી લૉકડાઉનમાં રહેવુ પડે. એ વાત નક્કી છે કે કોરોના વાયરસ આવતા ત્રણ સપ્તાહમાં ગાયબ થવાનો નથી. આપણે વુહાન સાથે પછી ગમે તેટલી તુલના કરવાની કોશિશ કરીએ પરંતુ આ સંભંવ નથી. અમારા ત્યાં વુહાનની જેમ કોરોના વાયરસનું માત્ર એક કેન્દ્ર નથી. અમે દેશના બાકી તમામ ભાગોમાંથી તમામ ડૉક્ટરો અને નર્સોને બોલાવીને એક જગ્યાએ નથી લાવી શકતા જેવુ ચીને કર્યું છે. તેથી આપણને ઓછામાં ઓછા બે મહીના અથવા તેનાથી વધારે સમય લાગી જશે. જો વેક્સીન 12 મહીના પહેલા આવી જાય છે તો આપણે જલ્દી જ તમામ લોકોને વેક્સીનથી સુરક્ષિત કરવાનું શરૂ કરી દઇશું.
કોરોના સીઝનલ બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે : અમેરિકી વિશેષજ્ઞ ડૉ. એન્થોની ફાઉચી
અમેરિકી કોરોના વાયરસ ટાસ્કફોર્સના સભ્ય અને મહામારી વિશેષજ્ઞ ડૉ. એન્થોની ફાઉચીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, અમે એ ન કહી શકીએ કે આ મહમારી એક અથવા બે સપ્તાહમાં ખતમ થવાની છે. મને નથી લાગતુ કે આવી કોઇ સંભાવના પણ છે. ડૉ. ફાઉચીએ એમ પણ કહ્યું કે કોરોના વાયરસનું મુળથી ખતમ થવું મુશ્કેલ છે. બની શકે છે કે આ સીઝનલ બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
યૂનિવર્સિટી ઓફ રીડિંગના સેલ્યૂલર માઇક્રોબાયોલોજી પ્રોફેસરે આમ કહ્યું
યૂનિવર્સિટી ઓફ રીડિંગમાં સેલ્યૂલર માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર ડૉ. સિમન ક્લાર્કે 'ધ ઇન્ડિપેન્ડેન્ટ' સાથેની વાતચીતમાં કહ્યું કે, કોરોના વાયરસના એન્ડગેમની તારીખ બતાવવી અસંભવ છે. તેઓએ કહ્યું કે જો કોઇ આપને કોરોના વાયરસના અંતની તારીખ બતાવી રહ્યું છે તો તે ક્રિસ્ટલ બોલ બતાવીને ભવિષ્યવાણી કરી રહ્યું છે. સત્ય એ છે કે કોરોના વાયરસ ફેલાઇ ચૂક્યો છે અને હવે તે આપણી સાથે હંમેશા માટે રહેવાનો છે. ડૉ. ક્લાર્કે કહ્યું કે કોરોના વાયરસની મહામારી ખુબજ પડકારજનક છે કેમકે લોકોના શરીરમાં લક્ષણ દેખાયા વિના સંક્રમણ થઇ શકે છે અને તે બીજા લોકોમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે.
સાઉથહેમ્પટન યૂનિવર્સિટીના સંશોધનકર્તા: ઠંડીની સીઝનમાં કોરોનાનું સક્રમણ વધી શકે
સાઉથહેમ્પટન યૂનિવર્સિટીમાં ગ્લોબલ હેલ્થના સંશોધનકર્તા માઇકલ હેડનું કહેવું છે કે કોરોના વાયરસ વિશે કોઇપણ અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ બિલકુલ નવો વાયરસ છે અને દુનિયાભરમાં મહામારીનું રુપ ધારણ કરી ચૂક્યો છે. તેઓએ કહ્યું કે આવનારા કેટલાક મહીનામાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ઠંડીની સીઝન આવતાની સાથે કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી શકે છે કેમકે એ સમયે ફ્લૂ પણ ઉથલો મારશે.
ક્યારે તૈયાર થશે વેક્સીન ?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે વેક્સીન બન્યા બાદ કોરોના વાયરસની રોકી શકાય છે. જોકે, હજુ સુધી કોરોના વાયરસની કોઇપણ વેક્સીન બની શકી નથી. ઇમ્પીરિયલ કોલેજ લંડનના પ્રોફેસર નીલ ફાર્ગ્યુસન મુજબ, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા પગલા સંક્રમણની ઝડપને ધીમી બનાવવામાં ખુબજ જરૂરી છે. જ્યાં સુધી વેક્સીન નથી આવતી, ત્યાં સુધી મોટા પાયે સોશિયલ ડિસ્ટેન્સિંગની જરૂર બની રહેશે.
કોલેજની એક રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે કોરોના વાયરસન વેક્સીન બનવામાં લગભગ 18 મહીનાનો સમય લાગી શકે છે. જ્યારે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના સંશોધનકર્તાએ આશા દર્શાવી છે કે 6 મહીનાની અંદર વેક્સીન આવી શકે છે.