ચીનમાં ખતરનાક કોરોના વાયરસ (Coronavirus) નો કાળો કેર સતત જારી છે. સમગ્ર દુનિયાને હચમચાવી દેનારા ઘાતક કોરોના વાયરસથી ચીનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ચીનમાં આજે વહેલી સવાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 563 થઈ ગઈ છે. ચીનની સરકારે જારી કરેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, હાલ લગભગ 28,000થી પણ વધુ લોકો કોરોના વાયરસ ચેપ લાગ્યો હોવાની વાત સામે આવી છે.
વુહાનમાં જન્મના 30 કલાક બાદ નવજાત શિશુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વુહાનની નવી બનેલી હોસ્પિટલનો કબજો ચીનની સેનાએ લીધો
ચીનમાં ગઈ કાલે બુધવારે એક જ દિવસમાં 73 લોકોનાં કોરોના વાયરસથી મોત થયાં છે
દરમિયાન, બીજી તરફ ચીનના કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત વુહાન શહેરમાં ગઈ કાલે જન્મના માત્ર 30 કલાક બાદ એક નવજાત શિશુનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત થનાર તે સૌથી નાની ઉંમરનો બીમાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવજાતને તેની માતાના ગર્ભમાં અથવા તો જન્મના તુરંત બાદ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા તબીબોએ વ્યક્ત કરી છે, કારણ કે તેની માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
ચીનમાં ગઈ કાલે બુધવારે એક જ દિવસમાં 73 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયાં છે, જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોતનો આંકડો છે. ચીનના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાએ 73 લોકોનો ભોગ લીધો હતો. સૌથી વધુ મોત હુબેઈમાં નોંધાયા છે, જ્યાં 70 લોકોએ તેમની જિંદગી ગુમાવી છે. ગઈ કાલે કોરોના વાયરસના નવા 3,694 કેસ સામે આવ્યા હતા અને આ રીતે કુલ 28,018 લોકોમાં તેનો ચેપ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત ગઈ કાલે કોરોનાના 5,328 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા હોવાની પુષ્ટિ પણ અધિકારીઓએ કરી છે. આ શંકાસ્પદ દર્દીઓમાંથી સૌથી વધુ 2,987 હુબેઈ પ્રાંતના છે, જેમાંથી 640 દર્દીઓની તબિયત અતિ ગંભીર હોવાનું જણાવાયું છે.
ચીને એવો દાવો કર્યો છે કે, છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા શંકાસ્પદ કેસોની સંખ્યા ઘટી છે, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું કહેવું છે કે, કોરોના વાયરસ સામે કોઈ પ્રભાવી સારવાર નથી. નવી દવાઓ કે વેક્સિનના ટેસ્ટિંગ અને તેના વિકાસમાં ઘણાં વર્ષો લાગી જાય છે. આ કારણે કોરોના વાયરસને નાથવો મુશ્કેલ બન્યો છે.
હાલ ચીન સહિત 27 દેશોમાં આ જીવલેણ વાયરસ ફેલાઈ ગયો છે. આ તમામ દેશોમાં 250થી વધુ કેસ આવ્યા છે. મહામારી બની ચૂકેલા કોરોના વાયરસનું કેન્દ્ર ગણાતા વુહાનમાં બનાવવામાં આવેલી હંગામી હુઓશેનશાન હોસ્પિટલનો કબ્જો ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ લઈ લીધો છે. સેનાએ સોમવારથી શરૂ કરાયેલી એક હજાર બેડની ક્ષમતાવાળી આ હોસ્પિટલમાં 1,400 સૈનિકોને તહેનાત કરી દીધા છે.
ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ભારતીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, તકેદારીનાં પગલાંરૂપે દેશમાં 5,123 લોકોને તેમના ઘરમાં જ વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિલ્હીમાં કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચીન માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે, જેમાં લોકોને ચીનનો પ્રવાસ ન કરવા માટે સલાહ અપાઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપની તપાસ માટે 741 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી કેરળના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે બાકીના 738 લોકોનો રિપોર્ટ નેગેટિવ છે. કેરળમાં 3 કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. રાજ્યમાં 2,421 લોકોને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.