દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે જેના કારણે દેશના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે. કોરોના વાયરસથી પ્રભાવિત બિઝનેસ માટે કેન્દ્ર સરકાર આર્થિક પ્રોત્સાહનની તૈયારી કરી રહી છે. એવામાં નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે.
સરકાર ટૂંક સમયમાં આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે
ઉદ્યોગ જગત દ્વારા 9 થી 10 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની માંગ કરવામાં આવી
રાહત પેકેજ વિવિધ ચરણમાં આપવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ
કોરોના સંકટ પર સરકારની તૈયારી પર સરકારના એક અધિકારીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. પરંતુ તેમાં કોઈ મોટી પોલીસીની જાહેરાત નહી થાય, રાહત પેકેજ વિવિધ ચરણમાં આપવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે સરકાર પાસે કોવિડ બોન્ડ, રાજકોષીય ખાધ, ડેફિસિટને મોનેટાઈઝ કરવા જેવા વિકલ્પ છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોના વાયરસના કારણે સતત લોકડાઉન જાહેર છે એવામાં અર્થવ્યવસ્થા પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એવામાં ઉદ્યોગો દ્વારા રાહત પેકેજની માંગણી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ પહેલાં કેન્દ્ર સરકારે ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એવામાં હવે કરવામાં આવેલ બેઠકમાં નાણા મંત્રાલયનાં તથા વડાપ્રધાન કાર્યલયનાં ઘણા અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ બેઠક બાદ હવે એક બે દિવસમાં રાહત પેકેજનું એલાન થઇ શકે છે. ઉદ્યોગ જગત દ્વારા 9 થી 10 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. હવે સરકાર જે ક્ષેત્રોને લોકડાઉનના કારણે સૌથી વધુ નુકસાન થઇ રહ્યું છે તેના માટે રાહત પેકેજ આપવામાં આવશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં અધ્યક્ષ સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે દરરોજ 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. તથા એપ્રિલથી સપ્ટેમ્બર સુધી 4 કરોડ લોકોની નોકરી પણ જઈ શકે છે ત્યારે તાત્કાલિક રાહત પેકેજની જરૂર છે. ગઈ વખતે જ્યારે રાહત પેકેજ આપવામાં આવ્યું હતું ત્યારે ગરીબોને અનાજ અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરના માધ્યમથી લગભગ 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.