હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે સરકાર અપીલ કરી રહી છે. જોકે કોરોના વેક્સિનને લઇને પણ સકારાત્મક સમાચારો મળી રહ્યા છે. તેવામાં હવે કોરોનાના નામે કેટલાક લોકોએ પૈસા ધૂતવાના શરૂ કરી દીધા છે. મહેસાણામાં કોરોનાથી બચવવાની એક જાહેરખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે VTV અંધશ્રદ્ધાથી દુર રહેવા અપીલ કરે છે.
કોઇ પણ પ્રકારની અફવાથી ભરમાશો નહીં
ન્યૂઝપેપરમાં કોરોના મટાડતો હોવાની અપાઈ છે જાહેરાત
મહેસાણામાં કોરોના મટાડતી જાહેરખબરોથી ચેતજો
કોરોના વાયરસની દવા તબીબ ક્ષેત્ર અને વૈજ્ઞાનિકો માટે એક પડકાર રૂપ સાબિત થઇ રહી છે. તેવામાં ધૂતારા તેમના રોટલા શેકવા માટે અનેક પેંતરા અજમાવી રહ્યા છે. મહેસાણામાં કોરોના મટાડતી જાહેરખબર છપાઇ છે. ન્યૂઝપેપરમાં તાંત્રિકવિધિ બાદ કોરોના મટાડતો હોવાની જાહેરાત અપાઇ છે. આ જાહેરાત હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વિશ્વમાં હજુ કોરોનાની દવા નથી શોધાઇ, વૈજ્ઞાનિકો પણ હજુ દવા શોધી રહ્યા છે, ત્યાં ધૂતારાઓ આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે.
શું છે અંધશ્રદ્ધા ફેલવાતી જાહેરાત?
મહેસાણામાં ન્યૂઝપેપરમાં અંધશ્રદ્ધા ફેલાવતી જાહેરાત છપાઇ છે કે, 'ગુરૂ મહારાજના પગલા પડાવો, કોરોના વાયરસથી બચવા માટે વિધી કરાવો. તમારા ઘરની અંદર કોઇપણ વ્યક્તિને કોરોના થાય તો બળદેવદાસ બાપુની જવાબદારી'
અંધશ્રદ્ધાથી દુર રહેવા VTVની અપીલ
ત્યારે VTV News દ્વારા રાજ્યના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આ પ્રકારની અફવાથી ભરમાશો નહીં. અંધશ્રદ્ધાથી દૂર રહેજો. તાંત્રિક વિધિથી કોરોના મટાડતી વાતોમાં ભરમાશો નહીં. દોરો, પગલા કોરોનાથી કેવી રીતે બચાવે? માસ્ક, સામાજિક અંતર અને સાવચેતી જ રક્ષણ આપે. સાચવેતી જ બચાવશે.