ચીનમાં ખતરનાક કોરોના વાઈરસ વધુ ઘાતક બની રહ્યો છે. કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 131 પર પહોંચી ગઈ છે. કોરોના વાઈરસના સતત વધતા કહેર વચ્ચે આજે વહેલી સવારે સેન્ટ્રલ હુબેઈ પ્રાંતમાં અધિકારીઓએ 25 જીવલેણ અને 850 નવા કેસ સામે આવ્યા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે.
ચીનમાં કોરોના વાઇરલ ઘાતક બન્યો, અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 5300 કેસની પુષ્ટિ થઈ છે
કોલકાતામાં થાઈ યુવતીનું કોરોના વાઈરસથી મોત થયાની આશંકા : યુપી સહિત અનેક રાજ્યમાં હાઈએલર્ટ
હરિયાણા અને પંજાબમાં 6 શંકાસ્પદ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગે એલર્ટ જારી કર્યું
ઉલ્લેખનીય છે કે, તિબેટને બાદ કરતા ચીનના તમામ પ્રાંતોમાં કોરોના વાઈરસના કેસ સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓએ નવા મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનની કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 5300 કેસની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, જાપાને તેના 200 નાગરિકોને શહેરમાંથી એરલિફ્ટ કર્યા છે અને અમેરિકાએ લગભગ 240 નાગરિકોને હવાઈમાર્ગે ચીનની બહાર કાઢ્યા છે.
બીજી તરફ, ભારત સરકારે પણ ચીનમાંથી પોતાના નાગરિકોને તુરંત બહાર કાઢવાની યોજના બનાવી છે. કોરોના વાઈરસનું મુખ્ય કેન્દ્ર ચીનનું વુહાન શહેર છે, જ્યાં હજુ પણ ઘણા ભારતીયો ફસાયા છે.
કોલકાતામાં થાઈલેન્ડની યુવતીનું મોત
ભારતમાં આરોગ્ય વિભાગે તકેદારીનાં પૂરતાં પગલાં લીધાં હોવા છતાં કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોલકાતામાં દાખલ કરાયેલી થાઈલેન્ડની યુવતીનું મોત નીપજ્યું છે. એવી આશંકા છે કે આ થાઈ યુવતીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો.
થાઈલેન્ડની રહેવાસી આ મહિલાને ત્રણ દિવસ પહેલા કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું સોમવારે મૃત્યુ થયું હતું. જોકે, તે કોરોના વાઈરસથી મૃત્યુ પામી છે કે નહીં તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.
એરપોર્ટ પર મુસાફરોની તપાસ માટે વિશેષ ટીમો
એરપોર્ટ પર મુસાફરોની તપાસ માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલ (આરએમએલ)માં દાખલ ત્રણ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના તપાસ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મીનાક્ષી ભારદ્વાજના જણાવ્યા અનુસાર, સોમવારે દાખલ થયેલા આ દર્દીઓમાંથી એક ગાઝિયાબાદનો છે અને બે દિલ્હીના રહેવાસી છે. આ ત્રણેય ચીનથી આવ્યા હતા.
દેશના અનેક રાજ્યમાં હાઈએલર્ટ જારી
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની તમામ જિલ્લા હોસ્પિટલોમાં 10 બેડના આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. લખનઉ વારાણસી સહિતનાં તમામ એરપોર્ટ પર તપાસ ટીમની સાથે સાથે હેલ્પડેસ્ક પણ તહેનાત કરવામાં આવ્યા છે. મહારાજગંજમાં ચીનથી પરત આવેલા એક મેડિકલ સ્ટુડન્ટની તપાસ કરીને તેનો રિપોર્ટ સરકારને મોકલી દેવામાં આવ્યો છે. યુપી, પંજાબ, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
પંજાબના મોહાલીમાં એક અને હરિયાણાના જુદા જુદા જિલ્લામાં પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા
પંજાબ અને હરિયાણામાં પણ કોરોના વાઈરસના કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. પંજાબના મોહાલીમાં એક અને હરિયાણાના જુદા જુદા જિલ્લામાં પાંચ શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. હરિયાણાના પાંચ કેસમાંથી બે કેસ ગુરુગ્રામ, એક ફરીદાબાદ, એક નૂહ અને એક પાણીપતથી છે.
આ બધા શંકાસ્પદ દર્દીઓ વિશે એવું કહેવાય છે કે, આ લોકો હમણાં થોડા દિવસો પહેલાં જ ચીન જઈને પરત આવ્યા છે અને તેમનામાં કોરોના વાઈરસના દર્દી જેવા પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પરિવારજનોને પણ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
પંજાબ અને હરિયાણા બંને રાજ્યમાં કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા બાદ બંને રાજ્યની સરકારે તેમના આરોગ્ય વિભાગને સતત હાઈએલર્ટ પર રાખ્યા છે. પીજીઆઈ ચંડીગઢ ઉપરાંત હરિયાણા અને પંજાબની હોસ્પિટલોમાં પણ આઈસોલેશન વોર્ડ બનાવીને ફક્ત શંકાસ્પદ દર્દીઓ જ નહીં, પણ તેમના પરિવારની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.