કોવિડ વાયરસ સંક્રમણને પગલે આપેલા લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્ર તો કટિબદ્ધ છે જ સાથે-સાથે કેટલાક ભૂતપૂર્વ સૈનિકો પણ પોલીસને વહારે આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ લોકડાઉનની સખત અમલવારી કરાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જિલ્લામાં લોકડાઉન દરમિયાન તકનીકી પ્રધ્ધતિ અને સતત પેટ્રોલીંગ,પોલીસ બંદોબસ્ત કરીને 17 હજારથી વધુ કેસો સાથે જિલ્લો અગ્રેસર રહ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત
મહેસાણામાં નિવૃત્ત સૈનિકો કોવિડ યોદ્ધા તરીકે નીભાવી રહ્યા છે જવાબદારી
વધુમાં જિલ્લામાં કોઇપણ પ્રકારના વ્યક્તિ ઘર્ષણ સિવાય જિલ્લાના ચાર હજારથી વધુ પોલીસ કર્મયોગીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના માર્ગદર્શનથી ફરજ બજાવી છે ત્યારે આ રાષ્ટ્રની સેવામાં મહેસાણામાં 68 માજી સૈનિકો પણ જોડાયા હતા.
નિવૃત સૈનિકો પણ કોવિડ યોદ્ધા તરીકે જોડાયા
મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મયોગીઓની સાથે કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે જિલ્લામાં નિવૃત સૈનિકો પણ જોડાયા હતા. સરહદની સેવા કરીને નિવૃત થયેલા આર્મીના જવાનો દેશની અંદરના કોરોના નામના અદશ્ય દુશ્મનથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસની સાથે મળીને શહેરોમાં ફરજ બજાવી રહ્યા છે. વિશ્વ આખુ કોરોનાની મહામારીથી પીડાઇ રહ્યું છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે લોક-ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં નિવૃત જવાનો સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને લોકોને લોક-ડાઉનનો અમલ કરવા સમજાવી રહ્યા છે તેમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેન લિમ્બાચીયાએ જણાવ્યું હતું.
127 પૂર્વ સૈનિકો ફરી રાષ્ટ્ર સેવામાં જોડાયા
મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેનભાઇ લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે મહેસાણામાં 68, બનાસકાંઠામાં 45 અને પાટણમાં 14 મળી જિલ્લામાં 127 નિવૃત સૈનિકો કોરાના યોધ્ધા બની રાષ્ટ્રસેવામાં જોડાયા હતા.
લૉક-ડાઉન દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે બન્યા સેતુરૂપ
નિવૃત્ત સૈનિકો કોરોનાના પગલે લોક-ડાઉનમાં પોલીસની મદદ કરી કોરોનાની જંગમાં પોતાની સેવા આપી રહ્યા છે. દેશ સેવા જ જેનો જીવન મંત્ર બની ગયો છે તેવા આ જવાનો નિવૃતિના સમયગાળામાં દેશ પર આવેલી આફતના સમયમાં લૉક-ડાઉન દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનવા અને પોતાની ફરજ અદા કરવા તત્પર બન્યા છે.
પૂર્વ સૈનિક દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે જ્યારે દેશને જરૂર પડે અમે દેશસેવા માટે તૈયાર છીએ. ભારત દેશની સેવા એજ અમારો જીવનમંત્ર છે. દેશ સેવામાં નિવૃતિ હોય જ નહી. દેશની હાકલ થાય એટલે સૈનિક ફરજ પર હાજર થઈ જાય એ સૈનિકનો સ્વભાવ છે. આ જ્યારે પોલીસ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે અમે પણ અમારી સ્વૈચ્છિક ફરજ સમજ રાષ્ટ્ર સેવા કરી છે.