મહામારીના નિષ્ણાતોએ કોરોના વાયરસ અને તાપમાન વચ્ચે એક નવું કનેક્શન શોધ્યું છે. તેમનું કહેવું છે કે, કોવિડ 19 શિયાળાની ઋતુની સિઝનલ બીમારી પણ બની શકે છે. જેમ જેમ ગરમી ઘટશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે તેમ તેમ વાયરસના કણ હળવા અને બારીક થશે. તેથી સંક્રમણનો ખતરો ઘણો વધી જશે.
સિડની યુનિવર્સિટી અને શાંઘાઇની ફુડાન યુનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થના સંયુક્ત રિસર્ચમાં સંશોધકોનો દાવો
આ વાત સિડની યુનિવર્સિટી અને શાંઘાઇની ફુડાન યુનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થના સંયુક્ત રિસર્ચમાં સામે આવી છે. દક્ષિણ ગોળાર્ધમાં તાપમાન અને કોરોના વાયરસ પર આ પહેલુ રિસર્ચ છે. માઇકલના જણાવ્યા મુજબ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ વાળા ભાગમાં જ્યારે ભેજ ઘટવાનો શરૂ થઇ જાય છે ત્યારે સતર્ક રહેવુ જરૂરી છે. સિડનીમાં કોવિડ 19ના ૭૪૯ દર્દીઓ પર ૨૬ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી રિસર્ચ ચાલ્યું હતું.
સંશોધકોએ દર્દીઓની આસપાસ મોસમ કેન્દ્ર પરથી સ્થિતિને સમજી હતી. આ દરમિયાન વરસાદ, ભેજ અને જાન્યુઆરીથી માર્ચના તાપમાનના આંકડા એકઠા કર્યા હતા. દર્દીઓની સંખ્યા, હવામાન અને સંક્રમણના અન્ય પેરામીટર્સના એનાલિસિસમાં સામે આવ્યું કે વાયરસનું સંક્રમણ ફેલાવવામાં ભેજ મુખ્ય ભાગ ભજવે છે.
ટ્રાન્સબાઉન્ડ્રી અને ઇમર્જિંગ ડિસિસ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ ચીન, યુરોપ, ઉત્તર અમેરિકામાં મહામારી ઠંડીના દિવસોમાં ફેલાઇ હતી. પ્રોફેસર માઇકલ કહે છે કે, ઠંડી કરતાં પણ વધુ મહત્ત્વનું છે ઓછા ભેજવાળું તાપમાન. તે કેસ વધારવાનું કામ કરે છે. સંશોધકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું કે, જ્યારે વાતાવરણમાં ભેજ ઘટે છે અને હવા શુષ્ક થાય છે ત્યારે વાયરસના કણ વધુ બારીક થાય છે. આ દરમિયાન કોઇના છીંકવા કે ખાંસવા પર તે કણ હવામાં લાંબા સમય સુધી ટકેલા રહે છે. તે સ્વસ્થ લોકોનાં સંક્રમણનો ખતરો વધારે છે.