માર્ચ પછી લોકડાઉન અને કોરોનાને કારણે ધામધૂમથી લગ્ન કરવાં ઇચ્છુક યુવક યુવતીઓ હવે અનલોકમાં થોડી છૂટછાટ મળતાં પાર્ટી પ્લોટ બુકિંગ કરવા તરફ વળ્યાં છે. કોરોના મહામારીને કારણે ૫૦ લોકોની મર્યાદા સાથે યોજાતા લગ્ન સમારંભોમાં હવે ગમે એટલા લોકોને આમંત્રિત કરી શકાશે. પરંતુ મહેમાનોથી બમણી કેપેસિટીવાળું લગ્નસ્થળ શોધવું પડશે.
અનલોક-૪ની ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર હોલ કે લગ્ન સ્થળની ૫૦ ટકા ક્ષમતા જેટલા મહેમાનોને બોલાવવાની પરવાનગી આપી શકે તેમ છે. તેથી ૨૩ માર્ચથી લોકડાઉન લાગુ થયા બાદ જેમને બુકિંગ અને લગ્નની પૂરતી તૈયારી સાથે નક્કી કરેલાં લગ્ન મુલતવી રાખવાં પડ્યાં હતાં તે હવે ધામધૂમથી કરવા માગતા લગ્નવાંછુકો નવેમ્બર માસથી પાર્ટી પ્લોટમાં એડ્વાન્સ આપીને લગ્નનાં બુકિંગ કરાવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પાર્ટી પ્લોટ વાળા પણ કોરોના પેકેજનું બુકિંગ લઇ રહ્યા છે. જેમાં તેઓ સેનેટાઇઝર માસ્ક અને સેનિટાઇઝેશન સાથેની તમામ સુવિધાઓ પૂરી પાડશે.
શહેરના મોટા ભાગના વિસ્તારના પાર્ટી પ્લોટના ઓનરના જણાવ્યા મુજબ લોકડાઉન બાદ લગ્ન પ્રસંગમાં હવે બદલાવ આવ્યો છે. તેથી ૫૦ લોકો માટેનું પેકેજ કર્યું હતું. પરંતુ અનલોક ૪માં જો સરકાર દ્વારા ૫૦ ટકા ક્ષમતા સાથે પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ કરવાની મંજૂરી આપવામાં આવશે તો પાર્ટી પ્લોટની જેટલા લોકોને સમાવિષ્ટ કરવાની કેપેસિટી છે.
તેના ૫૦ ટકા પ્રમાણે ૨૦૦થી લઈને ૧૦૦૦ માણસોનો પ્રસંગ થઈ શકે છે. એ જ પ્રમાણે હોલમાં ક્ષમતા કરતાં ૫૦ ટકા પ્રમાણે બુકિંગ થશે. લોકો દ્વારા ગઈ કાલથી ઇનક્વાયરી શરૂ થઇ ગઈ છે, અને નવેમ્બરમાં આવનારી લગનની સિઝન માટે નાની રકમ આપીને હાલમાં લોકો ફક્ત તારીખ બુક કરાવી રહ્યા છે. પરંતુ પાર્ટી પ્લોટ સંચાલક તેમની ફરજ પ્રમાણે માસ્ક અને સેનિટાઇઝિંગની સુવિધા વાળાં જ પેકેજ બનાવશે.
છેલ્લા પાંચ મહિનાથી મોટાં ગેધરિંગ બંધ હોવાથી ધામધૂમથી પ્રસંગ કરવા માગતા લોકો પ્રસંગ બંધ રાખીને બેઠા હતા. હવે સરકારની મંજૂરી આવશે તો પાર્ટી પ્લોટ બુક કરાવશે. મોટા ભાગના લોકો એસી હોલના બદલે કોરોનાના કારણે પાર્ટી પ્લોટ બુક કરાવવાનું વધુ પસંદ કરે છે.