ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઇને રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આંશિક રાહત આપવામાં આવી રહી છે. જેને લઇને રાજકોટ શહેરમાં લોકડાઉનની વચ્ચે કલેકટર દ્વારા નિયમોને આધીન આપેલી મંજૂરીને ધ્યાનમાં લઇને આજથી ઉદ્યોગો શરૂ થયેલા જોવા મળશે.
રાજકોટમાં આજથી 7500 ઉદ્યોગ ફરીથી શરૂ થશે
નવા કેસ ન નોંધાતા સરકાર દ્વારા આપવામાં આવી મંજૂરી
શ્રમિકો અને કર્મચારીઓને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે
રાજકોટમાં લોકડાઉનની વચ્ચે આજથી ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કલેક્ટર દ્વારા શરતોને આધીને 7500 ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે.
કોરોનાને લઇને નવા કેસ ન નોંધાતા સરકાર દ્વારા રાજકોટમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટમાં કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં આજથી ઉદ્યોગો ધમધમશે. જેમાં શ્રમિકો અને કર્મચારીઓને માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે.
જો કે કોરોનાને લઇને જાહેર કરાયેલા નિયમોનું કડક પાલન કરવું પડશે. જેમાં કામ શરૂ કરતા પહેલા કર્મચારીઓનું થર્મલ ગનથી ચેકિંગ કરવાનું રહેશે. આ સાથે જ માત્ર 50 ટકા કર્મચારીઓની સાથે ઉદ્યોગો શરૂ થશે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉદ્યોગો ચાલુ રહેશે.
ઉદ્યોગકારોને કલેક્ટર ઓફિસના ધક્કાથી રાહત
રાજકોટ વહીવટી તંત્ર સાથે ઉદ્યોગકારોની ગઇકાલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે રાજકોટ શહેરના ઉદ્યોગકારોએ હવે કલેક્ટર કચેરીએ ધક્કો ખાવો નહીં પડે. રાજકોટના અલગ અલગ 11 ઉદ્યોગોના એસોસિએશનની ઓફિસેથી ઉદ્યોગોને મંજૂરીની પ્રક્રિયા થશે. જે તે ઉદ્યોગકારોએ એસોસિએશનની ઓફિસેથી ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી મેળવવાની રહેશે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે 11 નોડલ ઓફિસરની નિમણૂં કરી છે..