ભારતના સૌથી ધનાઢ્ય હિંદુ તીર્થસ્થાનમાં સામેલ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરનાં 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. એક મીડિયા અહેવાલ મુજબ આ કર્મચારીઓ મંદિરની સાફ-સફાઈનું ધ્યાન રાખતા હતા. કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે પહેલી મે થી આ કર્મચારીઓને કામ પર ન આવવા કહેવામાં આવ્યુ છે.
મંદિરમાં સાફસફાઈનું કામ કરતા લોકોને નોકરીમાંથી છૂટા કર્યા
શ્રમિકોએ સંકટના સમયે નોકરીમાંથી ન કાઢવા આજીજી કરી
ભારતીય વ્યાપાર સંઘે મંદિર ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ કર્યો
કર્મચારીઓનો કોન્ટ્રેક્ટ રીન્યુ નહી થાય
મંદિરના અને કર્મચારીઓ વચ્ચે એ કોન્ટ્રેક્ટ કરવામ આવ્યો હતો તે 30મી એપ્રિલના રોજ સમાપ્ત થઇ ગયો હતો તે બાદ મંદિર સંચાલન દ્વારા ફરીથી કોન્ટ્રેક્ટ કરવાની ના પાડવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ વાય વી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે આ મુદ્દો તેમના ધ્યાનમાં છે તથા તે આ લોકોની મદદ કરવા માટે પ્રયત્ન કરશે. આ સિવાય તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત બાદથી જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનાં જે કાયમી કર્મચારી છે તેમને પણ કોઈ કામ સોંપવામાં આવ્યું નથી.
કર્મચારીઓએ નોકરીમાંથી ન કાઢવા વિંનતી કરી
દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં એક તિરુપતિ મંદિરમાં એક વર્ષ માટે 3309 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે. મંદિર પાસે આટલા પૈસા હોવા છતાં આ નિર્ણયના કારણે દેશના વિવિધ સંગઠનો દ્વારા ટિકા પણ કરવામાં આવી રહી છે. શ્રમિકોએ મંદિરના સંચાલનને આ સંકટના સમયમાં કામમાંથી ન કાઢવા માટે આજીજી કરવામાં આવી છતાં મંદિર દ્વારા કોન્ટ્રેક્ટને રીન્યુ કરવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે.
ટ્રેડ યુનિયનો ભડકી ઉઠ્યા
કોરોના મહામારી વચ્ચે મંદિર ટ્રસ્ટના આ નિર્ણય બાદ દેશમાં ઘણા સવાલ ઉઠી રહ્યા છે. મંદિરના આ નિર્ણય બાદ ટ્રેડ યુનિયનો ભડકી ઉઠ્યા છે. ભારતીય વ્યાપાર સંઘ દ્વારા કહેવામાં આવ્યું કે આ જ શ્રમિકોએ હંમેશા મંદિરની સ્વચ્છતા માટે કામ કર્યું. શ્રદ્ધાળુઓની સેવા કરવા માટે પોતાના જીવ જોખમમાં નાખ્યા. હવે આ સંકટના સમયમાં મંદિરે આ શ્રમિકોને બહારનો રસ્તો બતાવી દીધો.
લોકડાઉનમાં માત્ર પૂજારીઓ દ્વારા જ થાય છે અનુષ્ઠાન
નોધનીય છે કે તિરુપતિ મંદિરમાં દેશના કરોડો લોકો આસ્થા ધરાવે છે. દેશ-દુનિયાના ખૂણે ખૂણેથી લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે આ મંદિર 20 માર્ચના રોજ બંધ કરી દેવામાં આવ્યું હતું. દેશમાં ત્રણ મે સુધી લોકડાઉનની જાહેરાત બાદથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવતી નથી જોકે મંદિરના પૂજારીઓ દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે છે. હવે જ્યારે લોકડાઉન લંબાવી ગયું ત્યારે મંદિર કઈ તારીખ સુધી મંદિર બંધ રહેશે તેના પર નિર્ણય લેવાઈ શકે છે.