આપણે ત્યાં ઘણી વખત એવું સાંભળ્યું છે છોકરાએ માવતરના સંસ્કાર લજવ્યા પરંતુ દરેક કિસ્સામાં તેવું નથી હોતું, ક્યારેક દીકરીઓ પણ માવતરના સંસ્કારોને લજવતી હોય છે. આવી જ એક કરૂણ ઘટના તાજેતરમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં બની હતી. લોકડાઉનની જાહેરાત થતાં દીકરી અને જમાઈ વૃદ્ધાને ઘરમાં પુરીને ક્યાંક જતાં રહ્યા હતા.
લોકડાઉન હાલોલના વૃદ્ધા માટે બન્યું સજાપાત્ર
નિર્દય પુત્રી-જમાઈ 15 દિવસથી વૃદ્ધાને ઘરમાં બંધ કરી જતી રહ્યા
181ની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ્યા
એક તરફ સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોના વાયરસના કહેરને કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ લોકડાઉન એક વૃદ્ધા માટે મુસીબતનું કારણ બન્યું હતું.
દીકરી અને જમાઇ વૃદ્ધાને પુરીને ચાલ્યા ગયા
પ્રાપ્ત થયેલી વધુ જાણકારી મુજબ હાલોલના દેસાઇ ફળીયામાં રહેતા 80 વર્ષના વૃદ્ધાને ઘરમાં પુરીને નિર્દય પુત્રી-જમાઈ નાસ્તો અને પાણીનો જગ મુકીને 15 દિવસથી ક્યાંક ચાલ્યા ગયા હતા. જો કે, આ અંગેની જાણ તેમની ખંભાત રહેતી દીકરીને થતાં તે તેણીને 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો.
તાળુ તોડીને વૃદ્ધાને બહાર કાઢવામાં આવ્યા
અભયમ 181 મહિલા હેલ્પલાઇનને સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ પંચમહાલની ટીમ તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘરનું તાળું તોડીને તેમને ઘરની બહાર કાઢ્યા હતા.
15 દિવસથી ઘરમાં પુરાયેલા વૃદ્ધા નાસ્તા પર જીવતા
ઘરની બહાર આવેલા વૃદ્ધાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેઓ છેલ્લા 15 દિવસથી ઘરમાં હતા અને તેમના દીકરી અને જમાઇએ નાસ્તો તથા પાણીની વ્યવસ્થા કરી રાખી હતી તેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. હાલ આ વૃદ્ધાને કંકણપુર વૃદ્ધા આશ્રમ મા રાખવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.