દેશમાં 21 દિવસના લોકડાઉનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. લોકડાઉનના પગલે ઘણા લોકો પોતાના વતનથી દૂર બીજા રાજ્યોમાં અટવાઇ ગયા છે. જ્યારે રોજગારી માટે આવેલા લોકો પોતાના ઘરે જવા માટે કોઇપણ રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા ખાતેથી 36 લોકો કન્ટેનરમાં બેસીને જતાં પકડાયાં હતા.
બનાસકાંઠામાંથી કન્ટેનરમાં છુપાઇને પંજાબ જતા 37 લોકો ઝડપાયા
કન્ટેનરમાં સંતાઇને જવાના હતા પંજાબના અમૃતસર
પાથાવાડા નજીક કન્ટેનરમાંથી 37 લોકો ઝડપાયા
રાજ્યના ભરૂચથી પંજાબના અમૃતસર જતા એક કન્ટેનરમાં 36 લોકો છુપાઇને બેઠા હતા. આ બધા ગુજરાતથી પંજાબ પોતાના ઘરે જવા ઇચ્છતા હતા.
આ કન્ટેનર રાજ્યના ભરૂચથી નીકળી સૂરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુરથી પસાર થઇ ગયું હતું જો કે બનાસકાંઠાના પાંથાવાડા નજીક પકડાઇ ગયું હતું. પાંથાવાડા પોલીસે કંટેનગરમાંથી બધા 36 લોકોને બહાર કાઢી દાંતીવાડા મોડલ સ્કૂલમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરી દીધા છે. જેને લઇને કન્ટેનરમાંથી છુપાઇને પંજાબ સુધી જવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનના પગલે દેશભરમાં લોકો પોતાના વતન જવા અવનવો રસ્તો અપનાવી રહ્યાં છે. શ્રમિકો પોતાના વતન જવા માટે પગપાળા જઇ રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન જતા અટકાવવા તેમજ તેઓને જીવનજરૂરિયાતની વસ્તુઓ પુરી પાડવા રાજ્યસરકારને આદેશ આપ્યો હતો. તેમ છતાં શ્રમિકો પલાયન કરી પોતાના વતન તરફ ચાલતા જઇ રહ્યાં છે.