કોરોના વાયરસનો કોઈ રામબાણ ઈલાજ શોધી શકાયો નથી. કોરોના વાયરસે લોકોને પોતાના ઘરમાં જ ગોંધાઈ રહેવા માટે મજબૂર કરી દીધા. સમગ્ર દેશમાં છેલ્લા 21 દિવસથી લોકડાઉન છે. 22 માર્ચે જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ તે પછી સ્થિતિ એ સર્જાઈ કે, લોકો જ્યાં હતા ત્યાં જ રહેવા મજબૂર થઈ ગયા. એવા લોકોની સ્થિતિ અને મુશ્કેલીની કહાની જુદી છે. પરંતુ લોકડાઉનના કારણે પોતાનાથી છૂટા પડેલા સ્વજનો કેવી સ્થિતિમાં જીવતા હશે તે વિચાર અનેક લોકોને ચેનથી સૂવા દેતો નથી.
લોકડાઉનમાં ફસાઈ લાડકવાયી
આ લોકડાઉન હવે હટે તો સારુ
પોતાની લાડકવાયીની તસવીર કેમેરા સામે ધરીને યુગલ કહે છે કે, તસવીરમાં ભલે તેમની નાનકડી દીકરી માતા-પિતાની વચ્ચે હોય પરંતુ લોકડાઉને તેમની દીકરીને છેલ્લા 20 દિવસથી પોતાનાથી વિખૂટી કરી દીધી છે. મોં પર માસ્કની ગરજ સારતો દુપટ્ટો પહેરીને ઊભેલી આ યુવતીની આંખમાંથી ઘણા દિવસોથી આંસુ સુકાયા નથી.
લોકડાઉન થતાં પોતાની વ્હાલસોયી ઇન્દોરમાં ફસાઇ
કારણ એ છે કે લોકડાઉનથી તેમનાથી વિખૂટી પડી ગયેલી દીકરી ઈન્દોરમાં સંબંધીઓના ઘરે ફસાઈ ગઈ છે તે અમદાવાદ સ્થિતિ તેના માતા પિતા પાસે આવવા માગે છે પરંતુ આવી શકતી નથી. મધ્યપ્રદેશ સરકાર દ્વારા મદદ કરીને રાજસ્થાન મોકલવામાં આવે છે, પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા પ્રવેશ ન આપવામાં આવતા તસવીરમાં દેખાતી આ બાળકી પોતાના માતા પિતા પાસે પહોંચી શકતી નથી. ત્યારે હવે રાણીપમાં રહેતા પરિવારે સરકારને બાળકોને પરત લાવવાની માગ કરી છે.
રાણીપના ડુંગરસિંહ શેખાવત પણ પોતાના સંતાનોની જોઇ રહ્યા છે રાહ
કંઈક આવી જ સ્થિતિમાં રાણીપમાં વસતા ડુંગરસિંહ શેખાવત પણ મૂકાયા છે. તેઓ પણ મીડિયા સામે પોતાના પુત્રોને પરત લાવવા મદદ માગી રહ્યા છે. ગત 13 માર્ચે તેઓ સામાજિક પ્રસંગમાં રાજસ્થાન ગયા હતા પરંતુ લોકડાઉન જાહેર થતાં તેઓ રાજસ્થાનમાં જ ફસાઈ ગયા. જો કે રાજસ્થાન સરકારે ગુજરાત જવા દેવા માટે પરમિશન આપી પરંતુ પંજાબ સરકારે પોતાની બોર્ડરમાં પ્રવેશવા ન દીધા આથી તેમણે રાજસ્થાન પરત ફરવાની ફરજ પડી. અહીં તેમના પિતા પોતાના પુત્રો પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
આ સાચી કહાની માત્ર આ બે પરિવાર પૂરતી નથી. દેશમાં અનેક સ્થળે કંઈ કેટલાય લોકો આ રીતે પરિવારો લોકડાઉનના કારણે વિખૂટા પડી ગયા છે. આશા રાખીએ કોરોનાનો કહેર જલદી ખતમ થાય અને પરિવારોથી વિખૂટા પડી ગયેલા સ્વજનનોનું પુનર્મિલન થાય.