કોરોના મહામારી અને લોકડાઉનના બેવડા માર વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યને જીએસટી કલેક્શનનો હિસ્સો આપવાનો ઇનકાર કરીને રાજ્ય સરકાર માટે આર્થિક મહાસંકટ ઊભું કરી દીધું છે. આમ પણ લગભગ તમામ રાજ્યની આર્થિક હાલત પહેલાંથી જ ખરાબ છે. બિનભાજપ શાસિત રાજ્ય કેન્દ્રના આ નિર્ણય સામે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યાં છે.
કોરોના મહામારી અને લોકડાઉનનો બેવડો મારો
રાજ્યની આર્થિક હાલત પહેલાંથી જ ખરાબ
ભાજપ શાસિત સરકાર દબાણના કારણે કંઇ જ બોલી શકે તેવી સ્થિતિમાં નથી, પરંતુ એ હકીકત છે કે તમામ રાજ્ય સરકાર સામે આર્થિક સંકટ કેન્દ્રના આ પ્રકારના વલણથી વધુ ઘેરું બન્યું છે. રાજ્ય માટે હવે રોજબરોજના ખર્ચ ઉઠાવવા માટે એક સમસ્યા બની ગઇ છે. કોરોનાના કારણે સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.
નાણાપ્રધાને કોરોના સંકટને એક્ટ ઓફ ગોડ કહ્યું
એવામાં કેન્દ્રીય નાણાપ્રધાને કોરોના સંકટને એક્ટ ઓફ ગોડ એટલે કે ઇશ્વરીય કૃત્ય ગણાવીને વિવાદ છેડી દીધો છે. વાસ્તવમાં આર્થિક તબાહીને કેન્દ્રીય નાણાપ્રધાન યેનકેન પ્રકારે કોરોના સાથે સાંકળી રહ્યાં છે. કોરોના વાઇરસ સંક્રમણે આર્થિક તબાહીની માત્ર ઝડપ વધારી છે. બાકી તબાહી તો પહેલાંથી જ હતી. તેમણે જીએસટી કલેક્શનમાં ઘટાડા માટે કોરોના મહામારીને જવાબદાર ગણાવી છે. વાસ્તવમાં તેની શરૂઆત તો ગઇ સાલના ઓગસ્ટથી જ થઇ ગઇ હતી, જ્યારે ચીનમાં પણ કોરોના વાઇરસનો કોઇ અતોપતો નહોતો.
રાજ્ય સરકાર હાલ તુરત રિઝર્વ બેન્ક પાસેથી ઉધાર લઇને કામ ચલાવે
કોરોના વાઇરસ ભારતમાં ત્રાટક્યો તેના પહેલાંથી જ સરકારને એ વાતનો અણસાર આવી ગયો હતો કે રાજ્યને તેમના હિસ્સાનું બાકી પેમેન્ટ કરી શકે તેવી સ્થિતિમાં નથી. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનો હિસ્સો આપવા માટે કરવામાં આવેલા ઇનકારથી રાજ્યને જે ખોટ અને ખાધ ઊભી થશે તે ક્યાંથી ભરપાઇ થશે? કેન્દ્રએ એવું સૂચન કર્યું છે કે રાજ્ય સરકાર હાલ તુરત રિઝર્વ બેન્ક પાસેથી ઉધાર લઇને કામ ચલાવે, પરંતુ રાજ્ય આ માટે તૈયાર નથી. રાજ્યનું કહેવું છે કે ઉધાર જો લેવાનું હોય તો કેન્દ્ર સરકાર જ રિઝર્વ બેન્ક પાસેથી ઉધાર લે અને કેન્દ્ર સરકાર પોતાના વાયદા મુજબ તેના નુકસાનની ભરપાઇ કરવાની પોતાની બંધારણીય ફરજ અદા કરે.
આમ પણ કરમાળખામાં ફેરફાર બાદ રાજ્ય પાસે પોતાના સ્તરે કોઇ પણ સંસાધન એકત્ર કરવાનો માર્ગ બચ્યો નથી. જીએસટી સિસ્ટમ હેઠળ તેનું મહેસૂલ સીધેસીધું કેન્દ્રને જાય છે, જે રાજયને તેના હિસ્સાનું પેમેન્ટ કરવા અને જીએસટી લાગુુ કરવાના અગાઉનાં પાંચ વર્ષમાં ૧૪ ટકા વાર્ષિક વધારા સાથે તેના નુકસાનની ભરપાઇ કરવા વચનબદ્ધ છે. બાકીનો ૪૦ ટકા હિસ્સો રાજ્ય પેટ્રોલિયમ, શરાબ અને સ્ટેમ્પ ડ્યૂટીથી પૂરો કરે છે. બિહાર જેવાં રાજ્યમાં દારૂબંધી છે ત્યાં કેવી હાલત થશે તેની તો માત્ર હવે કલ્પના કરવી રહી.
નાણાપ્રધાનની એક્ટ ઓફ ગોડવાળી વાતને લાગેવળગે છે ત્યાં સુધી તેમાં કોઇ દમ નથી. આર્થિક સંકટ મુખ્યત્વે વગર વિચાર્યે નોટબંધીનો નિર્ણય, જીએસટી લાવવામાં ઉતાવળ અને કઠોર લોકડાઉનના કારણે ઊભું થયું છે, જોકે કોરોના જતો રહેશે તો પણ આર્થિક સંકટનો અંત આવવાનો નથી. સરકારે આ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઇએ અને લોકોને પણ માહિતગાર કરવા જોઇએ. જો સરકાર આમ નહીં કરે અને તમામ રાજ્યને દેવું કરવાની સલાહ આપશે તો રાજ્ય પણ દેવાળિયાં બની જશે, પછી ન તો ભગવાન રાજ્યને બચાવી શકે કે ન તો કેન્દ્ર. અેક્ટ ઓફ ગોડની નાણાપ્રધાનની વાતથી સવાલ એ ઊભો થયો છે કે શું રાજ્ય હવે જીએસટીનો હિસ્સો અને વળતર ભગવાન પાસે જઇ માગશે?
કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ પ્રાથમિકતા છે કે જેમાંથી કોઇને પણ ઓછી મહત્ત્વપૂર્ણ ગણી શકાય નહીં. એક વાત સ્પષ્ટ છે કે ઉધાર લઇને વિવાદને હાલના તબક્કે સમાપ્ત કરી દેવાથી સમસ્યા હલ થવાની નથી. કેન્દ્ર સરકારે રાજ્યની આર્થિક સમસ્યા અને સંકટનો કોઇ કાયમી ઉકેલ શોધવો જોઇએ.