કોરોનાની વૈશ્વિક મહામારી આપણી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન કરીને ઝંપશે. અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આ વર્ષે અપાઢી બીજના દિવસે યોજાનાર રથયાત્રામાં ભગવાનના રથ સાથે માત્ર મંદિરના મહારાજ અને પુજારીઓ જ હાજર રહેશે. સામાન્ય ભક્તોને ટીવી અને મીડિયાના માધ્યમથી રથયાત્રા નીહાળવા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે.
રથયાત્રાની 250 વર્ષ જુની પરંપરામાં ફેરફાર થવાની સંભાવના
20મી મેં એ ટ્રસ્ટીમંડળની મિટિંગમાં રથયાત્રાના આયોજન અંગે ચર્ચા થશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ VTV સાથે વાત કરતાં જણાવ્યું કે આ વર્ષે પરંપરા મુજબ રથયાત્રા તો નીકળશે જ પરંતુ રથમાં માત્ર પુજારીઓ અને મહારાજ હાજર હશે. દર વર્ષની જેમ રથયાત્રામાં જોડતાં લોકોએ આ વખતે ટીવી અને મીડિયાના માધ્યમથી જ રથયાત્રા નીહાળવાની તૈયારી રાખવી જોઈએ.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે 20મી મેંના રોજ અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ થશે. તેમાં સંપૂર્ણ આયોજન મુદ્દે ચર્ચા થશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે વધુ લોકો એકઠા નહીં થઈ શકે.