ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના સંકટમાં અમદાવાદ મોખરે છે ત્યારે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના મ્યુ. કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે કોરોનાને લઇને શહેરમાં કુલ 2016 એક્ટિવ કેસ જોવા મળ્યાં છે. શહેરમાં કુલ 6 ઝોનને રેડ ઝોનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં 6000થી વધુ વિસ્તારમાં 7.60 લાખ ઘરમાં 32 લાખ જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. હોટસ્પોટ વિસ્તારમાં દર ત્રીજા-ચોથા દિવસે ટીમ સર્વેલન્સ કરે છે. પત્રકાર પરિષદમાં તેઓએ શહેર અંદર કોરોનાને કાબુમાં લેવા માટે 3S સ્ટ્રેટજી રજુ કરી હતી.
મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ 3Sની નવી સ્ટ્રેટજી રજૂ કરી
વિજય નેહરાએ ખાસ કરીને શહેરમાં મૃત્યુદર ઘટાડવા માટે 3 Sની નવી સ્ટ્રેટજી બનાવી છે તેમ કહ્યું હતું. જેમાં સુપર સ્પ્રેડર (Super Spreader), સ્લમ (Slum) અને સીનિયર સિટીઝન (Senior Citizen) પર હવે ખાસ નજર રાખવાની છે જેથી અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો કરી શકાશે.
સુપર સ્પ્રેડર વિશે નેહરાએ જણાવતાં કહ્યું હતું કે જે નાના વેપારીઓ અને ફેરિયાઓ છે તેમણે જો માસ્ક નથી પહેર્યા તો તેમની પાસેથી ખરીદી કરવાનું ટાળો જેથી તેઓ લોકો પણ સતર્ક બનશે.
અમદાવાદમાં ટેસ્ટિંગ અને સર્વેલન્સની કામગીરી
વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદમાં 2016 એક્ટિવ કેસ છે. કુલ 6 ઝોન રેડ ઝોનમાં રખાયા છે જ્યાર અન્ય 42 વોર્ડ ઓરેન્જ ઝોનમાં છે. અત્યાર સુધી 23702 કુલ ટેસ્ટ થયા અને મોટાપાયે ટેસ્ટિંગ કરાઈ રહ્યાં છે. દુનિયામાં જે દેશોમાં હાઈએસ્ટ ટેસ્ટિંગ થઈ રહ્યાં છે તેની હરોળમાં આપણે પહોંચી જઈશું. મોટાભાગના રાજ્યો કરતા 8થી 10 ગણા આપણે કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું હતું કે આપણે જેમ ટેસ્ટિંગ કરી રહ્યાં છે તેમ AMCની ટીમ સર્વેલન્સની કામગીરી પણ ખૂબ અગ્રેસિવ રીતે કરી રહી છે. 6000થી વધુ વિસ્તારમાં 7.60 લાખ ઘરમાં 32 લાખ જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. હોટસ્પોટ વિસ્તારમાં દર ત્રીજા-ચોથા દિવસે ટીમ સર્વેલન્સ કરે છે.
કેસનો ડબલિંગ રેટ 8 દિવસ થયો
હવે અમદાવાદમાં કેસ ડબલિંગ 3.4 દિવસથી વધીને 8 દિવસનું થયું છે. કાલથી અમદાવાદમાં 4000 લોકોના કોરોના ટેસ્ટ થશે. કોટ વિસ્તારમાં શરૂઆતના તબક્કામાં જો સારો સાથ સહકાર મળે અને સામેથી સેમ્પલિંગ તેમજ હોસ્પિટલમાં આવવાની દરકાર રાખે તો કોરોનાના કેસ અને મૃત્યુનો દર ઘટાડી શકાશે. એમાં પણ ખાસ કરીને જેઓ વૃદ્ધ છે અને ગંભીર બીમારી છે તેમના માટે ખાસ ધ્યાન રાખવું પડશે તો મૃત્યુ દર ચોક્કસપણે ઘટશે.
AMCની વેબસાઈટ પર પણ હવે આંકડા મળશે
હવેથી AMCની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર પણ કોવિડ-19ના આંકડા મળશે, જેમાં નકશા દ્વારા પણ માહિતી અપાશે.